દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: પ્રવાસન, વન અને પર્યાવરણ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ રૂ.૩૬ કરોડના ખર્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટિયાથી જામનગર જિલ્લાના લાલપુર સુધીના રસ્તાના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે અગ્રણી પાલાભાઈ કરમૂર, હમીરભાઇ કનારા, ગોવિંદભાઈ કનારા,પ્રિયેશભાઈ અનડકટ, અજયભાઈ કારાવદરા સહિત સ્થાનિક આગેવાનો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જામનગર-લાલપુર-પોરબંદર રોડ (SH-27) પર ગુજરાત સરકારની ગ્રાન્ટ માંથી જામનગર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા લાલપુર થી ત્રણ પાટીયા સુધી ૩૦ કી.મી.ના ૧૦ મીટર પહોળા રોડનું રી-કાર્પેટીંગ કરવાનું આયોજન છે.
આ રાજ્ય ધોરી માર્ગ જામનગર-પોરબંદરને જોડતો તથા જામનગર જિલ્લા મથકને આસપાસના ગામો જેવા કે લાલપુર, ધરમપુર, મોટી ગોપ, ભાણવડ, જામજોધપુર, રબારીકા વગેરેને જોડતો મોટી સંખ્યામાં વાહનોની અવરજવર ધરાવતો માર્ગ છે. જામનગર ખાતે આવેલ જી.જી. હોસ્પિટલ, એ.પી.એમ.સી., કારખાનાઓ વગેરે માટે નાગરિકોને ઉપયોગી તથા માલ-સામાન પરીવહન માટે ખૂબ જ અગત્યનો રસ્તો છે. આ રી-કાર્પેટની કામગીરી થવાથી વાહનવ્યવહારમાં સુગમતા વધશે.