રિપોર્ટ: અનુજ ઠાકર
ગુજરાતી સિનેમાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક મધ્યમવર્ગીય પરિવારની હ્રદયસ્પર્શી કહાણી રજૂ કરે છે, જેમાં રોજિંદા જીવનના સંઘર્ષો, સંબંધોની ગરમાહટ, ગેરસમજો અને હાસ્યનો સુંદર સમન્વય જોવા મળે છે.

ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે હિતુ કનોડિયા અને વૈશાલી ઠક્કર મહત્વપૂર્ણ પાત્રોમાં નજરે પડશે. આ ઉપરાંત હિન્દી ટીવી સિરિયલ ‘બેહદ’ થી લોકપ્રિય બનેલી અભિનેત્રી અનેરી વજાણી તથા શ્રેય મારડિયા પણ ફિલ્મમાં નોંધપાત્ર ભૂમિકામાં જોવા મળશે.

ફેમસ દિગ્દર્શક ધર્મેશ એસ. મહેતા (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ) દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક ડ્રામા છે. ફિલ્મનું નિર્માણ નમનરાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન LLP ના સહયોગથી કરવામાં આવ્યું છે.
ફિલ્મનું સંગીત ડૉ. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પૂરોહિત દ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે બોલિવૂડના જાણીતા ગાયક શાન, અમિત ત્રિવેદી અને ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ ના અવાજે ગીતોને વધુ મધુર બનાવ્યા છે.
મોસ્ટ અવેઈટેડ પારિવારિક ફિલ્મ
‘જય કનૈયાલાલ કી’ એક એવી ફિલ્મ છે જેમાં શ્રદ્ધા, પરિવારની એકતા, લાગણીસભર ક્ષણો અને હાસ્યનું સરસ મિશ્રણ છે. પારિવારિક સંબંધોની હુંફ અને જીવનના નાના-મોટા પ્રસંગોને વાસ્તવિક રીતે રજૂ કરતી આ ફિલ્મ પ્રેક્ષકોને પોતાની જ કહાણી જેવી લાગશે. હાસ્ય સાથે ભાવુક પળોનું સંતુલન જાળવીને ફિલ્મ એક આત્મીય અને યાદગાર અનુભવ કરાવે છે.
સમગ્ર પરિવાર સાથે બેસીને જોવા જેવી આ ફિલ્મ ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે એક ખાસ ભેટ સાબિત થશે.
















