ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.
નેશનલ હાઇવે ૧૪૭(NH147) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે.
જે અંતર્ગત સરખેજ-ગાંધીનગર હાઇવેના માર્ગો પર જરૂરિયાત અનુસાર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. સરખેજ-ગાંધીનગર હાઇવે પર મુસાફરોની સલામતી ધ્યાને રાખતા ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ દ્વારા પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ૧૪૭ પર વરસાદથી પ્રભાવિત માર્ગોના રીપેરીંગ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદની ટીમો સતત પ્રયાસરત છે.
જેસીબી, રોલર, ડમ્પર, ગ્રેડર, ટ્રેકટર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૭(NH147) પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી છે.