ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે જિલ્લા તથા મહાનગરના મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જઓ ની ‘મીડિયા કાર્યશાળા‘ યોજાઈ હતી.
આ કાર્યશાળામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા સહિત વિવિધ માધ્યમો થકી ભાજપાની સંગઠનાત્મક અને સેવાકીય કામગીરી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણની કામગીરીની માહિતી અસરકારકતા સાથે જનતા સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
તેઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને વિપક્ષના ભ્રામક અપપ્રચાર સામે સંપર્ક, સંવાદ અને સંકલન દ્વારા લોકશાહીના ચોથા સ્તંભ એવા મિડિયાના માધ્યમ દ્વારા સાચી માહિતી જમીની સ્તર સુધી પ્રભાવી રીતે પંહોચતી કરવા તેઓએ મીડિયા વિભાગના કાર્યકર્તાઓને હાકલ કરી હતી. પરસ્પર સંવાદ થકી તેઓએ વિવિધ સંગઠનાત્મક મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલે આ કાર્યશાળામાં સમગ્ર રાજ્યમાથી પધારેલા ભાજપાના મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જઓને મીડિયા વિભાગ અંતર્ગત કરવાની થતી રોજિંદી કામગીરી સંદર્ભેની કાર્યપદ્ધતિ અંગે વિગતવાર છણાવટ કરી હતી અને સાચી અને સચોટ માહિતી મીડિયા દ્વારા જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર મીડિયા વિભાગ ક્ન્વીનર ભાર્ગવ ઠાકર, સહ ક્ન્વીનર રમેશ રૂપારેલ ઉપસ્થિત રહ્યા હતા.
















