અમદાવાદ, સંજીવ રાજપૂત: હેલ્થકેર વર્કર જીવનકાળ દરમિયાન તો દર્દીઓના જીવ બચાવે જ છે.પરંતુ મૃત્યુ બાદ પણ કોઇ જરૂરિયાતમંદના વ્હારે આવવું તેનો જીવ બચાવવો તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તા. ૨૧ માર્ચના રોજ જે અંગદાન થયું તે અંગદાન કરનાર મહિલા હેલ્થકેર વર્કર હતા.
૧૯ વર્ષીય સોનમબેન પાલ મુળ યુપીના અને ઘણાં સમયથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતા હતા. તેઓ ચાંદખેડામાં આવેલી S.M.S. હોસ્પિટલ ખાતે ઓટી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા.
તા. ૧૮-૦૩-૨૦૨૫ રોજ સોનમબેન એકટીવા ચલાવી રહ્યાં હતા ત્યારે દાસ્તાન ચોકડી, નિકોલ પાસે એક્સિડેન્ટ થતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ. જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં.
સારવાર દરમિયાન તા. ૨૦.૦૩.૨૦૨૫ના રોજ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સોનમબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે જોડાયેલ ટીમે પરીવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજણ આપતા પરીવારજનોએ દિકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ ૧૮૫માં અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૦૪ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૮૬ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
સિવિલ હોસ્પિટલમાં ૧૮૫માં અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. આમ આ અંગદાનથી કુલ ચાર જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન મળશે.
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૩૬ કિડની, લીવર -૧૬૧, ૫૯ હ્રદય ,૩૦ ફેફસા , ૯ સ્વાદુપિંડ , બે નાના આંતરડા , ૧૦ સ્કીન અને ૧૨૬ આંખોનું દાન મળ્યું છે.