જામનગર તા ૨૮, જામનગર પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની વ્હારે આવવા માટેના વર્ષ -૨૦૨૫ ના મહા રક્તદાન કેમ્પનું ગાંધીનગર મેઇન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં શનિવાર ના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની સમગ્ર ટિમ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પોલિસ વિભાગમાંથી જામનગર જિલ્લા એસ.પી. ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટરના ડી.વાય.એસ.પી. વી.કે. પંડ્યા, જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર. બી. દેવધા, ઉપરાંત એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયા, એસ.ઓ.જી. ના પી.આઈ. બી. એન. ચૌધરી તેમજ જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી.આઇ. અને પીએસઆઇ, તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યો હતો.
જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ તેમજ જામનગર જિલ્લાની ત્રણેય લશ્કરી પાંખ તથા રાષ્ટ્રીયકૃત બેન્ક સહિતના તમામ અધિકારીઓ વગેરેને નિમંત્રણ પાઠવાયા હતા. જેમાં જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના સરકારી અધિકારીઓ પણ જોડાયા હતા, અને રક્તદાન કર્યું હતું. જ્યારે નેવીના અધિકારીઓ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી. પી. ઝા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું, અને કુલ ૩૪૮ બોટલ રક્ત એકત્ર થયું છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ની બ્લડબેન્ક વિભાગની ટીમના સહયોગથી આ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, અને તમામ એકત્ર થયેલું રક્ત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં જમા કરાવી દેવાયું છે, અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઉપયોગમાં લેવા માટે આ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
આ ઉપરાંત રક્તદાન કેમ્પના નિમંત્રણ સાથે ફ્રુટ ડિશ આપવાનો પણ સીટી બી. ડિવિઝન પોલીસ વિભાગની ટીમ દ્વારા નવતર અભિગમ કરાયો હતો. જેમાં જામનગરના પોલીસ વિભાગ દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પની જવાબદારી સીટી બી. ડિવિઝન પોલીસ વિભાગને શોપવામાં આવી હતી, અને સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી.પી.ઝા ઉપરાંત પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નિમંત્રણની સાથે સાથે કોઈ નવતર અભિગમ અપનાવવા નો વિચાર મુકાયો હતો. જે અનુસાર જામનગર શહેર જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ વગેરેને ઉપરાંત ત્રણેય લશ્કરી પાંખ, જામનગરની રાષ્ટ્રીયકૃત બેંક વગેરેને, ઉપરાંત શહેરના રાજકીય આગેવાનો વગેરેને નિમંત્રણો પાઠવાયા હતા.
જે ૨૦૦ જેટલા નિમંત્રણ કાર્ડ સાથે સાથે ફ્રુટ ડિશ તૈયાર કરીને પણ પહોંચાડવામાં આવી હતી, અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટેની વિશેષ પહેલ કરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો, અને ૩૪૮ બોટલ રક્ત એકત્ર થયું હતું.