ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા
અમદાવાદ, સંજીવ રાજપૂત: અષાઢી બીજ ભગવાન જગન્નાથજીના નગરચર્યાનો ભકતો માટે અવિસ્મરણીય અવસર. આ વર્ષે અમદાવાદમાં ઉજવાશે 148મી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા જેની શરૂઆત થતા જળયાત્રાના ઉત્સવ થકી આરંભ થયો.
અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિઘાન શરૂ થઇ ગયા છે. આજે જલયાત્રાથી તેનો શુભારંભ થયો. સવારે 10 વાગ્યે ભગવાનનો મહાજળાભિષેક કરવાનું શુભ મૂહૂર્ત હતું અને બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
ભગવાન જગન્નાથજીના મંદિરેથી 14 ગજરાજ, 108 કળશ, ધજા-પતાકા સાથે સજ્જ ભક્તો અને ઢોલ નગારા અને કરતબો સાથે જળયાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી હતી. ત્યાર બાદ ભુદરના આરે જળયાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને સાબરમતી નદીમાં પહેલા ગંગા પૂજન કરવામાં આવ્યું હતું.
નદીતટ પર બ્રાહ્મણો અને ઉપસ્થિત સંતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યાર બાદ 108 કળશને બોટ દ્વારા નદીમાં લઈ જવાયા હતા જ્યાંથી સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે. 108 કળશમાં સાબરમતીનું જળ ભરીને વાજતે ગાજતે યાત્રા ફરી પરત મંદિર પહોંચી હતી જ્યાં આ સાબરમતીથી લાવેલ 108 કળશ દ્વારા ભાગવાનને સ્નાન કરાવાયું હતું.
અને બાદ ભગવાનનો દૂધ કેસર પંચામૃતથી સ્નાન કરાવીને જલાભિષેક કરાયો હતો. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. આ ઉત્સવનું આયોજન અનેક ભક્તો, સંતો, મહંતો અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવતું હોય છે.
ભગવાનના સ્વાગત માટે આંબેડકર હોલથી ભગવાન રણછોડ રાય મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લગભગ ત્રણ હજાર ભક્તોએ ભાગ લીધો હતો. મંદિરની આસપાસના રસ્તાઓ પર સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. આ પ્રસંગે શહેર મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય કૌશિક જૈન, ઇમરાન ખેડાવાલા સહિત અગ્રણીઓ અને પસંદગી પામેલ યજમાનો, અખાડાઓના કરતબકારો, ભજન મંડળીઓ, ધજા પતાકા સાથે ભક્તો મોટી સંખ્યામાં ઉમટયા હતા.