ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના દૂરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના હોલમાં યોજાઈ હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રભારી મંત્રીશ્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને કામગીરીનો ચિતાર મંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં આવેલ બ્રિજ તથા રસ્તા પર ભારે વરસાદના કારણે થયેલ નૂકશાની તથા રોડ દુરસ્તીની નિયત સમયમાં કરવામાં આવેલ પેચવર્ક તથા રીસરફેશિંગની કાર્યવાહીથી પ્રભારી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. આ ઉપરાંત પ્રતિબંધિત માર્ગ અંગેના જાહેરનામા તથા જિલ્લાના વિવિધ માર્ગોની વિગતો પણ મંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત અને નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રીજો અંગેની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લામાં અમલીકરણ અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાંક બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ આ અન્વયે થયેલ કામગીરીની પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરીને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.
વધુમાં પ્રભારી મંત્રીશ્રીએ વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે રીતે બાકી રહેલ રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા ઉપર ભાર મૂક્યો હતો. બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી, બ્રિજની ટ્રાફિક ભારક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાંઓના રસ્તાઓની મરામત અને મોટરેબલ રહે તે માટે મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતુ.
પ્રભારી મંત્રીશ્રીએ જરૂરી રોડ રીપેરિંગ, મેઈન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન અને ડાયવર્ઝનની જરૂર જણાય ત્યાં એ મુજબની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગે પણ સમીક્ષા કરી હતી. જોખમ હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચના આપી હતી.
આ બેઠકમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વ શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડે, મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. એન.કે.મીના, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર શ્રી ધવલ પંડ્યા, પોલીસ અધીક્ષક ડૉ. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.