’બહુજન હિતાય-બહુજન સુખાય’ની ભાવના સાથે રુ.10,000 કરોડની માતબર સખાવત જાહેર કરી અનોખા દ્રષ્ટાંતનો ચિલો ચાતર્યો
અમદાવાદ,સંજીવ રાજપૂત: ગૌતમ અદાણીએ ગયા મહિને મહા કુંભ મેળાની મુલાકાત વેળા કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન “સાદગી અને પરંપરાગત રીત રસમ” અનુસાર કરવામાં આવશે. એ સમયના પોતાના કહેણને વળગી રહેવા સાથે પુત્ર જીત અદાણીના લગ્ન એક ભવ્ય અને અદભૂત જશ્નની જેમ ઉજવાશે તેવી તમામ અફવાઓ અને અટકળોનો અંત લાવી દેતા
આ અબજોપતિઉદ્યોગપતિએ પોતાના પારિવારિક લગ્નસરાને ઝાકમઝોળથી અળગો તો રાખ્યો છે પણ ’બહુજન હિતાય, બહુજન સુખાય’ના ધ્યેય સાથે રુ.10,000 કરોડની માતબર રકમની સખાવત જાહેર કરી એક અનુકરણીય ચીલો ચાતર્યો છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિત્વોમાંના એક પરિવારમાં ઉજવાતા આ લગ્નની વિશિષ્ટ ’પહેરામણી’ને વિવિધ સામાજિક કાર્યોમાં સેવાના અજવાળા પાથરવા માટે કરવામાં આવશે.
सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा हैની ગૌતમ અદાણીની અંગત ફિલોસોફીની જન કલ્યાણની સૂચિમાં તેમની આ વિશાળ સખાવત મારફત સામાજિક દર્શનને આકાર આપવામાં આવ્યો છે એમ તેમના નજીકના અંગત સૂત્રોએ જણાવ્યું હતું. તેમની આ સખાવતનો શિરમોર ભાગ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં મોટા પાયે માળખાગત પહેલોને ભંડોળના યોગદાનથી માણેકસ્થંભ રોપવા સમાન એક સુદ્રઢ તાકાત પૂરી પાડવામાં આવે તેવી અપેક્ષા છે.
આ ક્ષેત્રોમાં આગામી પદાર્પણ આમ આદમીને પરવડે તેવી વિશ્વ કક્ષાની અસ્પતાલો અને મેડિકલ કોલેજો, પોષાય તેવી ફી સાથેની ટોપ-ટાયર K -12 શાળાઓ અને રોજગારીની બાંહેધરી સાથેના અદ્યતન વૈશ્વિક કૌશલ્ય એકેડેમીના નેટવર્કમાં સમાજના તમામ સમૂહોને ઉપલબ્ધ બની રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
તેમના નાના દીકરાના લગ્નોત્સવ પ્રસંગે ગૌતમ અદાણીએ X (અગાઉના ટવીટર) ઉપર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે,
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए। यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ। यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके, जिसके लिए मैं क्षमाप्रार्थी हूँ।
मैं आप सभी से बेटी दिवा और जीत के लिए स्नेह और आशीष का हृदय से आकांक्षी हूँ। 🙏
રસપ્રદ વાત એ છે કે,આ ટ્વીટમાં, તેણે તેમની પુત્રવધૂને “દીકરી દિવા” તરીકે સંબોધન કર્યું છે. જીત અદાણીએ હિરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે આજે બપોરે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં આવેલી બેલ્વેડેર ક્લબ ખાતે સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયા હતા. પરિવારના અંતરંગ વર્તુળોના કહેવા મુજબ, આ લગ્ન એક સાદો પર્વોત્સવ રહ્યો હતો.
જેમાં પારંપારિક ધાર્મિક વિધિઓ બાદ રુઢીગત ગુજરાતી સમારોહમાં નજીકના સગા સંબંધીઓ અને પારિવારિક મિત્રોએ જ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો.રાજકીય નેતાઓ, વેપાર ઉદ્યોગના અગ્રણીઓ, રાજદ્વારીઓ, ઉચ્ચ અધિકારીઓ, ફિલ્મ સ્ટાર્સ, મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ કે અન્ય હસ્તીઓની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળી હતી.
હાલમાં જીત અદાણી છ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકોનું સંચાલન કરતી કંપની અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર તરીકે કાર્યરત છે.નવી મુંબઇમાં નિર્માણાધિન સાતમા એરપોર્ટની કામગીરી તે સંભાળે છે.યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનીયાની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સનો જીત અદાણી પૂર્વ વિદ્યાર્થી છે.
પોતાના લગ્નના માત્ર બે દિવસ પહેલા જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા ૨૧ દિવ્યાંગ યુગલોને પોતાના આવાસે નોતરું આપી તેઓને મળી સંસારી જીવનની શુભકામનાઓ પાઠવીને આ કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું:
ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવ પરિણીત મહિલાઓને તેમના જીવનમાં મદદરુપ થવા માટેના કાર્યક્રમ ‘મંગલ સેવા’ની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે નવપરિણીત આવી 500 દિવ્યાંગ દરેક મહિલાઓને રુ.10 લાખની આર્થિક મદદ પ્રદાન કરવામાં આવશે. અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ X (અગાઉ Twitter) ઉપર પોતાના હૈયાનો હરખ વ્યકતા કરતા લખ્યું છે કે તેમનો પુત્ર જીત અને પુત્રવધુ દીવા પોતાના લગ્ન જીવનની સફરની શરુઆતના પ્રથમ અધ્યાયનો ઉઘાડ એક સદાચારી સંકલ્પ સાથે કરી રહ્યા છે.
21 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહા કુંભ ખાતે પત્રકારોએ શું તેમના પુત્રના લગ્ન “સેલિબ્રિટીઝનો મહા કુંભ” હશે એવું પૂછવામાં આવ્યું તેના જવાબમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું, કે “ચોક્કસપણે નહીં. અમે સામાન્ય લોકો જેવા જ છીએ. લગ્ન પૂૂર્વે જીત મા ગંગાના આશીર્વાદ લેવા માટે અહીં આવ્યો છે. તેના લગ્ન સાદાઇથી પરંપરાગત રીતે થશે.
તેમના પુત્રના લગ્નના દિવસે ગૌતમ અદાણીએ “સેવા ઓવર સેલ્ફ”નો નમૂનારુપ અનુકરણીય દાખલો પ્રસ્થાપિત કર્યો છે. સામાજિક કલ્યાણના કાર્યોને આર્થિક તાકાત આપવાનું પસંદ કરીને તેમણે એક વિચારશીલ,સમુદાય-કેન્દ્રિત અભિગમ રજૂ કરીને વ્યક્તિગત લક્ષ્યોની ઉજવણીના સારને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે જે સંપત્તિના જાહેર પ્રદર્શનને આગળ વધારતા અસરકારક બનાવે છે.