Rajkot

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લાયબ્રેરીની ભેટ, બે વર્ષની બાળકીના હાથે પુસ્તકાલયનું ઉદઘાટન !

દાતાર કલાકાર જગદીશ ત્રિવેદીના અનુદાનથી રાજકોટ રાષ્ટ્રીય શાળા ખાતે શરુ થઇ રહ્યું છે “જય વસાવડા પુસ્તકાલય”

જય વસાવડાનાં ૫૦મા જન્મદિન નિમિત્તે એમના વાચનને વધાવવા કરેલા એમના નામના પુસ્તકાલયનો સંકલ્પ એમના જ નગર રાજકોટમાં સાકાર કરતા ડો. જગદીશ ત્રિવેદી.

બહોળી સંખ્યામાં આ અનોખી ઘટનાને વધાવવા રવિવારની સાંજે રાજકોટવાસીઓ ઉમટી પડ્યા ! બે વર્ષની ઉદઘાટક બાળકી પ્રથા સહુના લાડનું કેન્દ્ર બની !

પોતાના પચાસ વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર શિક્ષણ, આરોગ્ય અને સમાજની સેવા માટે દાનમાં આપવાનો સંકલ્પ કરીને અત્યાર સુધીમાં ૨૧ કરોડનું દાન કરનાર જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી એ માટે પદ્મશ્રીથી સન્માનિત પણ થયા છે.

ત્રણ વખત પીએચડી થયેલા ડો. જગદીશ ત્રિવેદીએ એમના મિત્ર લેખકવક્તા જય વસાવડાના પચાસમા જન્મદિને એક અનોખો સંકલ્પ અઢી વરસ પહેલા પૂજ્ય મોરારિબાપુ સમક્ષ જાહેર કરેલો ! જય વસાવડાના નામનું પુસ્તકાલય બનાવવાનો ! જય વસાવડાના માતાએ એને જે ઘેર શિક્ષણ આપેલું એનાથી પ્રભાવિત જગદીશભાઈએ વિશ્વપ્રવાસી જય વસાવડાની ઈચ્છા મુજબની જગ્યાએ સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે એમના નામનું પુસ્તકાલય રાજકોટમાં ગાંધીજીની ચેતનાથી સિંચાયેલી ભૂમિ રાષ્ટ્રીય શાળા ખાતે તૈયાર કરાવ્યું છે.

ગાંધીજી પોતે જે ઓરડામાં કાયમ રોકાતા એની દિવાલ પાસેનો રૂમ રાષ્ટ્રીય શાળાના સંચાલકો દ્વારા આ નવેસરથી તૈયાર થયેલા પુસ્તકાલય માટે ફાળવ્યો હતો. જગદીશભાઈના અનુદાન અને માર્ગદર્શન હેઠળ ત્યાં નવસર્જન કરવાની જવાબદારી રાજકોટના જાણીતા આર્કિટેકટ પ્રતીક દઢાણિયાએ ઉપાડી હતી.

તારીખ ૧૫ માર્ચના રવિવારની સાંજે આ “જય વસાવડા પુસ્તકાલય”ના ઉદઘાટનમાં માત્ર એક જ દિવસનાં સોશ્યલ મીડિયા પરના આમંત્રણને હૂંફાળો પ્રતિસાદ આપીને સાડા છસ્સોથી વધુ વાચનપ્રેમી નગરજનો ઉમટી પડ્યા હતા. હોલ ભરાઈ જતા કેટલાય જાણીતા લોકોએ પણ ખુશીથી ઉભા ઉભા વાતો સાંભળી હતી.

કોઈ એક સર્જક બીજા સર્જકને જન્મદિનની ભેટ તરીકે લાયબ્રેરી તૈયાર કરી આપે એવો આ દુનિયામાં બેજોડ દાખલો છે. જગદીશ ત્રિવેદીએ જય વસાવડાની માત્ર બે વર્ષની ભત્રીજી પ્રથાના કોમળ કરકમળથી એનું ઉદઘાટન કરાવતા બીજો વિશ્વવિક્રમ પણ આ જય વસાવડા પુસ્તકાલય સાથે જોડાઈ ગયો હતો.

આ અવસરે રાષ્ટ્રીય શાળાના સંચાલક અને જાણીતા આગેવાન જીતુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અઢી કરોડની રકમ ફાળવ્યા બાદ રહ્સ્ત્રીય શાળામાં ઘણું નવું થયું છે. પણ અમારી લાયબ્રેરી બંધ હતી, હવે એ નવા રૂપે શરુ થઇ એનો આનંદ છે.”

રાજકોટના રાજ્યસભાનાં સાંસદ રામભાઈ મોકરિયા વ્યસ્તતા વચ્ચે પણ ખાસ હાજર રહ્યા અને કહ્યું કે “વિદ્વાન બ્રાહ્મણ યાચક જ હોય એ માન્યતા જગદીશ ત્રિવેદીએ ઉદાર હાથે સેંકડો જગ્યાએ દાન કરીને ખોટી પાડી છે, એનું ગૌરવ છે.” આ પ્રસંગે ઉમળકાભેર હાજર રાજકોટના રાજવી માંધાતાસિંહજીએ જણાવ્યું કે “મારા પૂર્વજ સ્વ. લાખાજીરાજ બાપુએ ગાંધીજીથી પ્રભાવિત થઇ એમના કાર્યો માટે આ શહેરના હ્રદય સમી ૬૫,૦૦૦ વારની જગ્યા ભેટ આપેલી, ત્યાં આપણા જ નાગરિક જય વસાવડાના નામનું પુસ્તકાલય થાય એ શહેર માટે આનંદની ઘડી છે.”

જગદીશભાઈ ત્રિવેદીએ થોમસ આલ્વા એડિસનથી આદરણીય મોરારિબાપુને યાદ કરી ટૂંકુ પણ મનનીય પ્રવચન આપ્યું હતું. એમણે આ મૌલિક વિચાર પોતાના પુત્ર મૌલિકનો હોવાનું જણાવી જયે કોલેજની કાયમી સલામત નોકરી છોડી પણ ઘરમાં વિશાળ પુસ્તક્સંગ્રહ આજે પણ રાખ્યો છે,

એ યાદ કરીને ભાર મુક્યો હતો કે જય વસાવડા વિદ્યાલય નહિ, પણ પુસ્તકાલયનું જ સંતાન છે. જય વસાવડાના માતાપિતા માટે એમણે આદર પ્રગટ કરી એમની તસ્વીરો અંદર મુકાવી, એ જોવા અનુરોધ કરેલો. જય વસાવડાએ ભાવવિભોર પ્રતિસાદ આપતા પોતાના ઘડતરમાં ગોંડલની અને રાજકોટ ધમસાણિયા કોલેજની લાયબ્રેરીનો ફાળો અતુલ્ય ગણાવેલો.

એમણે પોતાના ઘડતરમાં ભાગ ભજવનાર ગુરુજનો સ્વ. ડૉ. જે. એમ. મહેતા અને સ્વ. ડૉ રમેશભાઈ ફુલેત્રા સહીત અનેક સ્વજનોને યાદ કરી કાયમ પ્રેમ કરતા ચાહકોનો આભાર માન્યો હતો. ગાંધીજી માટે અત્યંત અંગત આદર હોઇને એમની સંસ્થામાં આ સંકલ્પ સાકાર થયો એને જે વસાવડાએ અસ્તિત્વના આશીર્વાદ ગણાવેલા.

આ કાર્યક્રમને માત્ર ૨૪ કલાકમાં સફળ બનાવવા માટે સમર્પિત એવા રાજકોટના સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ ઈલેશભાઈ ખખ્ખરે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈએ કરેલું.

આ અવસરે મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ ખાસ જગદીશભાઈના પ્રેમવશ ગાંધીનગરથી હાજર રહેલા. મિલન ત્રિવેદી, અવની વ્યાસ, રશ્મિ ભાલોડિયા, મિતુલ ધોળકિયા, હિરેન કોટક વગેરે સહિત મોટી સંખ્યામાં રાજકોટના પ્રબુદ્ધ કહી શકાય એવા નામો સહિત બહારગામથી આવેલા વાચકોએ હાજરી આપી હતી. અંતે આઈસ્ક્રીમ સાથે એવી ટાઢક આપતી મધુર યાદો વાગોળતા બધા છૂટા પડેલા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *