અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: આગામી 27મી જૂનના રોજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ-2025 નું આયોજન કરાયું છે. છેલ્લાં ચાર વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમી એકતાને જાળવવા હિન્દુ – મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતા કપ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ (ખંડાલા) સરસપુર ખાતે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજના હસ્તે આ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય હસમુખભાઈ પટેલ, સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, વિવિધ સંપ્રદાયના સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.