અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે યોજાયેલ પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને ત્યારબાદ દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે ૧૧ વર્ષનો કાર્યકાળ નરેન્દ્રભાઈ મોદીનો પૂર્ણ થયો છે ત્યારે દેશ અને ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે.
ગુજરાત રાજ્યને વિકાસના દરેક આયામોમાં સર્વોચ્ચ સ્થાન અપાવીને દેશને વિકાસની રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ પ્રધાનમંત્રીએ પૂરું પાડ્યું છે. રાજનીતિમાં કોઈપણ કાર્ય પૂરું કરવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ ખૂબ જ જરૂરી હોય છે.
થોડા જ દિવસ અગાઉ પાકિસ્તાન દ્વારા જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું તેનો ફક્ત ૧૨ દિવસમાં જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા ૧૧ જેટલા તેમના આકાઓના સ્થાનને સંપૂર્ણ નષ્ટ કર્યા છે. દેશની બાહ્ય તેમજ આંતરિક સુરક્ષા માટે પ્રધાનમંત્રીએ કોઈ પણ કચાશ નથી રાખી.
આજે વૈશ્વિક નેતાઓના આંખોમાં આંખ પરોવીને આપણા દેશની વાત મૂકી રહ્યા છીએ અને તેથી જ આતંકવાદ સામેની આપણી લડાઈમાં બધા જ દેશો આપણા સમર્થનમાં આપણી સાથે ઊભા છે.
મંત્રી ઋષિકેશભાઇ પટેલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશે સ્વ.જવાહરલાલ નહેરુનો તેમજ સ્વ.ઇન્દિરા ગાંધીજીનો કાર્યકાળ જોયો છે પરંતુ તેમના કાર્યકાળ કરતાં ઓછા સમયમાં માનનીય પ્રધાનમંત્રીએ દેશની સંપૂર્ણ કાયાપલટ કરી દેશને વિકાસ પથ પર આગળ વધાર્યો છે.
વિકાસની રાજનીતિના રોલ મોડલ તરીકે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે. ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીની યુપીએ સરકાર હંમેશા ભ્રષ્ટાચારમાં ડૂબેલી રહી જ્યારે ૨૦૧૪થી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આવ્યા બાદ લાખો કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે પરંતુ ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ કોઈ કરી શકે તેમ નથી.
રશિયા – યુક્રેન યુદ્ધમાં આપણા દેશનો એક પણ નાગરિક હેરાનગતિ વગર સહ-કુશળ ભારત પરત ફર્યા તે વિદેશનીતિનું ઉત્તમ ઉદાહરણ હતું. “મોદી હે તો મુમકીન હે” આ વાત દેશનો દરકે નાગરિક માનતો થયો છે. મોદી સરકારના ૧૧ વર્ષ ૧૪૦ કરોડ દેશવાસીઓ માટે વિકાસનો દશકો બની રહ્યો છે.
૨૦૪૭ માં દેશને વિકસિત દેશ બનાવવા માટે ગરીબો, ખેડૂતો તેમજ યુવાનો માટે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. દરેક ગુજરાતી જાણે છે કે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે નર્મદા ડેમનું કામ રોકાવી ગુજરાતને હળહળતો અન્યાય કર્યો હતો.
જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યાના ફક્ત ૧૭ દિવસમાં મંજૂરી આપીને નર્મદા ડેમનું કામ શરૂ કરાવ્યું હતું. ગુજરાતના સૌરાષ્ટ્રને “સૌની યોજના” અને ઉત્તર ગુજરાતને “સુજલામ સુફલામ યોજના” મળી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત દેશના ૮૧ કરોડ અને ગુજરાતના ૩.૬૫ કરોડ ગરીબને મફત રાશન મળ્યું છે. મુદ્રા યોજના થકી દેશના ૫૨ કરોડ દેશવાસીઓને ૧.૨૯ લાખ કરોડની સહાય મળી છે. છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં ૩૮૭ થી વધીને ૭૦૦ જેટલી મેડિકલ કોલેજ બની તેમજ ગુજરાતમાં ૨૦ નવી મેડિકલ કોલેજ બની છે.
દેશના ૪૧ કરોડથી વધુ લોકોએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો છે. ૧.૪૬ લાખ કિલોમીટરના નેશનલ હાઈવે બન્યા છે. દેશમાં ૪૦૦ વંદે ભારત ટ્રેનનો ટાર્ગેટ છે જેમાં ૧૩૬ ટ્રેનો કાર્યરત છે. આ તમામ સિદ્ધીઓ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સશક્ત નેતૃત્વના ફળ સ્વરૂપ છે. દેશનો દરેક નાગરિક, દરેક વર્ગ આગળ આવે તેવા પ્રયત્ન સાથે માનનીય પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના વિઝનને દેશ સમક્ષ મુક્યું છે.
આ સાથે માનનીય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મહાનગર કાર્યાલય ખાતે “સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ”ની પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રેસવાર્તામાં મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મહાનગરના મહામંત્રી જીતુભાઈ પટેલ, ભુષણભાઈ ભટ્ટ તેમજ પરેશભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા.