પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ:
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી થોડા દિવસો પહેલા થયેલી અર્ટીકા કાર ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ પ્રકરણમાં સુરતના એક શખ્સની ધરપકડ કરી રૂ. 3.50 લાખની કિંમતની કાર જપ્ત કરી છે
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, ચોરી કરનાર શખ્સ બીજું કોઈ નહીં પણ તે કારનો મૂળ માલિક જ હતો. બનાવની વિગત મુજબ, ગત તારીખ 09/01/2026 ના રોજ સુલીયાત ખાતેથી અર્ટીકા કાર GJ-21-CD-9941ની ચોરી થઈ હતી. આ અંગેની તપાસ દરમિયાન LCB ગોધરાને બાતમી મળી હતી કે સુરતના રહેવાસી કૈલાસકુમાર ભવરલાલ જૈન આ ગુનામાં સંડોવાયેલા છે.
પોલીસે કૈલાસકુમાર ની અટકાયત કરી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે એપ્રિલ-2025 માં આ કાર લોન પર લીધી હતી. જોકે, હપ્તા ન ભરાતા જુલાઈ-૨૦૨૫માં બેંકે કાર જપ્ત કરી લીધી હતી. આરોપીને જાણવા મળ્યું હતું કે તેની કાર સુલીયાત ગામે છે.
જેથી તે પોતાની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવી લઈને ત્યાં પહોંચ્યો હતો અને રાત્રિના સમયે કોઈને જાણ કર્યા વગર પોતાની જ જૂની કાર ચોરીને લઈ ગયો હતો. હાલ પોલીસે મોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે આરોપી પાસેથી ચોરાયેલી અર્ટીકા કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















