‘શિવ માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ જવાબદારી, સહનશીલતા અને નિસ્વાર્થ સેવાના સ્વરૂપમાં સમાજમાં હાજર છે.’
ભોળાનાથ શિવ સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવ તરીકે માત્ર પૂજા-અર્ચના કે વિધિ સુધી સીમિત નથી, પરંતુ તેઓ જીવન જીવવાની એક શાશ્વત વિચારધારા છે. આજના સમયમાં શિવને માત્ર શિવલિંગ પર દૂધ અર્પણ કરીને, મંત્રોચ્ચાર અથવા ભજન-કીર્તન પૂરતું નહીં રાખતા, તેમના સ્વભાવ, તત્વ અને સંદેશને સમજવાની તાત્કાલિક જરૂર છે.
સમુદ્ર મંથનની પૌરાણિક કથામાં દેવ અને દાનવો અમૃત માટે મથન કરતા હતા, ત્યારે સૌપ્રથમ અમૃત નહીં પરંતુ ભયંકર હાલાહલ ઝેર બહાર આવ્યું હતું. એવું ઝેર કે જે સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકે. આ સમયે દેવતાઓ ભયભીત થયા, દાનવો દૂર ભાગી ગયા અને કોઈ પણ આગળ આવ્યું નહીં.
ત્યારે કોઈ શરત વગર, કોઈ સ્વાર્થ વગર અને કોઈ પ્રશંસા માંગ્યા વિના પ્રભુ ભોળાનાથે એ ઝેર પાન કર્યું અને પોતાના કંઠમાં અટકાવી લીધું. આ કારણે તેઓ “નીલકંઠ” તરીકે ઓળખાયા.
આ ઘટના માત્ર ધાર્મિક કથા નથી, પરંતુ જીવનનું શાશ્વત સત્ય છે. આજના સમાજમાં પણ દરેક પરિવાર, સંસ્થા, વિભાગ અને સમાજમાં કોઈને કોઈ શિવરૂપી પાત્ર હાજર હોય છે.
દેખાવમાં સામાન્ય લાગતી આ વ્યક્તિ ઉપર સૌથી વધુ જવાબદારીઓ અને દબાણોનો ભાર હોય છે.
ઘરના વડા, માતા-પિતા, ભાઈ, કર્મચારી, અધિકારી, નેતા કે કાર્યકર્તા — બહારથી હસતા દેખાતા હોવા છતાં અંદરથી આર્થિક તાણ, નિષ્ફળતાઓ, ટીકાઓ, સંબંધોની તણાવભરી સ્થિતિ અને સમાજની અપેક્ષાઓનું ઝેર એ વ્યક્તિ ચુપચાપ પી રહ્યો હોય છે. તે તૂટે છે, પરંતુ તોડતો નથી; સહન કરે છે, પરંતુ ફરિયાદ નથી કરતો.
સમાજની વિસંગતતા એ છે કે જે વ્યક્તિ પરિવાર કે સંસ્થાને બચાવે છે, એને જ વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે, વધુ ટીકા સહન કરવી પડે છે અને સૌથી ઓછું માન આપવામાં આવે છે. આપણે ઘણી વખત “અમૃત કોણ લાવ્યો?” એ પ્રશ્ન કરીએ છીએ, પરંતુ “ઝેર કોણ પી ગયું?” એ પૂછવાનું ભૂલી જઈએ છીએ.
શિવ બનવું એટલે કમજોર થવું નહીં, પરંતુ સહનશીલ બનવું, જવાબદાર બનવું અને જરૂર પડે ત્યારે એકલા ઊભા રહેવાની હિંમત રાખવી. શિવ મંદિર સુધી સીમિત નથી; શિવ તો સ્વભાવ છે. જ્યાં કોઈ પોતાનું સુખ બાજુએ રાખીને બીજાનું કલ્યાણ કરે છે, જ્યાં કોઈ બદનામી સહન કરીને પણ સાચો નિર્ણય લે, અને એકલો ઊભો રહી સત્યનો માર્ગ પસંદ કરે છે — ત્યાં શિવ હાજર છે.
આ સંદર્ભે સમાજને સંવેદનશીલ બનવાની અને પોતાના જીવનમાં રહેલા શિવરૂપી પાત્રને ઓળખવાની અપીલ કરવામાં આવે છે. ઓછામાં ઓછું એટલું તો કહીએ —
“હું જાણું છું, તું કેટલું સહન કરે છે.”
કારણ કે જવાબદારીના ભારણ રૂપી ઝેર પી જનારને દવા કરતાં વધુ સમજ, માન અને સંવેદનાની વધુ જરૂર હોય છે.
શિવ સર્વત્ર છે….
આર.જે.રામ…(ગોધરા)
















