જેપુર પે.સેન્ટર શાળા,તા.વિજાપુર
આજરોજ અષાઢી બીજના પવિત્ર દિવસે જેપુર પે.સેન્ટર શાળા,તા. વિજાપુરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષનિધી શાહ મેડમશ્રી, તાલુકા પંચાયત,વિજાપુર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી દશરથભાઈ.એસ.પટેલ, ઉપસરપંચશ્રી શૈલેષભાઈ,સી.આર.સી કો-ઓર્ડીનેટર નિલેશભાઈ પૂર્વ સરપંચશ્રી બી.ડી.પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા ગામની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળદેવો માતા-પિતાઓ,ગામમાંથી પધારેલ પૂજનીય વડીલો,યુવાનો,બહેનો અને માતાઓની હાજરીમાં આ દેશનું સાચું ભવિષ્ય એવા નવીન પ્રવેશ મેળવતા બાળકોને પોતાના જીવનના સ્વપ્નોની પ્રથમ કેડી એટલે કે બાલવાટિકામાં શાળા પ્રવેશ આપવામાં આવ્યો.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ.બી.પટેલે શાળાની આછેરી ઝલક દ્વારા મહેમાનોને શાળાનો પરિચય કરાવ્યો.શાળાના વિદ્યાર્થીઓએ બાહ્ય પરીક્ષાઓ જેવી કે ધોરણ-5 માટે જ્ઞાનસેતુ(21 બાળકો),ધોરણ-8 માટે NMMS( 74 બાળકો) અને જ્ઞાન સાધના(44 બાળકો)એ મેરીટમાં સ્થાન મેળવી અત્યાર સુધીમાં કુલ 53 લાખ જેટલી માતબર શિષ્યવૃત્તિ મેળવી છે,
જે અભૂતપૂર્વ સિદ્ધિ છે. સાથે સાથે શાળાએ ચાલુ વર્ષે ગુણોત્સવમાં 87.10 ટકા સાથે A ગ્રેડ મેળવેલ છે. શાળાના આચાર્યશ્રીએ નવીન શાળા વ્યવસ્થાપન સમિતિના સહયોગથી શાળા વિકાસના બાકી કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું.
બાળકોના સર્વાંગી વિકાસ માટે સાથે મળીને હકારાત્મક દ્રષ્ટિકોણથી કામ કરવા ઉપર ભાર મૂક્યો.શાળાના નવીન શેડ માટે 20 પંખાનુ દાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી દશરથભાઈ.એસ.પટેલ તથા પૂર્વ તાલુકા ડેલીગેટ કમલેશભાઈ.એસ.પટેલ(ગોટી પરિવાર) તરફથી મળ્યું.
ત્યારબાદ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી મેડમશ્રીએ શાળાની પ્રગતિ માટે શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી.
આભારવિધિ શાળાના સિનિયર શિક્ષક નિલેશભાઈ.જે.પટેલે કરી. આજના કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ-8ની દીકરીઓ સાન્વી પટેલ અને આરતી રબારીએ કર્યું હતું. શાળાના તમામ શિક્ષકો અને બાળદેવોની મહેનતના કારણે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.