ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકીએ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
ડો. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વાલીની આવક મર્યાદા રૂ. 2.5 લાખ થી રૂ. 6.00 લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભવ્ય ‘ઋણ સ્વીકાર સમારંભ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપતા તેઓએ જણાવ્યું કે 13 માર્ચ 2026, શુક્રવારના રોજ સવારે 09:00 કલાકે ટાઉનહોલ, સે.17 ખાતે ગાંધીનગર ખાતે ભવ્ય ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે જેમાં અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેના ભાજપા સરકારના શિક્ષણલક્ષી નિર્ણયને વધાવવા સમાજના વિવિધ સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યની ભાજપા સરકારનો આભાર વ્યક્ત કરશે.
તેમણે જણાવ્યું કે, પહેલા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹૨.૫ લાખ હોવાથી અનુસૂચિત જાતિ સમાજના અનેક બાળક આ યોજનાનાં લાભથી વંચિત રહી જતા હતા. આવક મર્યાદા વધારી ગુજરાત સરકારે છેવાડાના માનવીના ઉત્થાન સંવેદનશીલતા દાખવી આ પહેલ કરી છે, જે સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે. આ બદલ સમગ્ર દલિત સમાજ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો તેઓએ આભાર વ્યકત કર્યો હતો.
ડો. કિરીટભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ દેશને વિશ્વનું શ્રેષ્ઠ સંવિધાન આપ્યું છે. વિશ્વના અનેક દેશોના સંવિધાનની તુલનામાં ભારતનું સંવિધાન અત્યંત મજબૂત અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવતું સંવિધાન છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં 140 કરોડથી વધુ જનસંખ્યા હોવા છતાં લોકશાહી મજબૂત બની રહી છે. સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ, જેણે બાળપણમાં રેલવે સ્ટેશન પર ચા વેચી હોય, તે દેશનો વડાપ્રધાન બની શકે છે તે ભારતના સંવિધાનની શક્તિ દર્શાવે છે અને તેનો શ્રેય ડૉ. બાબાસાહેબ આંબેડકરને જાય છે. સમાજના બાળકોના શિક્ષણ પ્રત્યે તેઓના ભાવને અનુરૂપ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને લાભ થાય તેવો નિર્ણય લીધો છે.
તેમણે જણાવ્યું કે, સરકારે છેવાડાના માનવીના કલ્યાણને પ્રાથમિકતા આપીને આ નિર્ણય કર્યો છે, જે સરકારની સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના કલ્યાણ માટે અનેક ઐતિહાસિક યોજનાઓ અમલમાં આવી છે. દિલ્હીમાં અનેક મહાન નેતાઓના સ્મારકો હતા, પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્મારક ન હતું. વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનપથ રોડ પર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ મેમોરિયલનું શિલાન્યાસ કર્યું હતું અને બાદમાં આશરે રૂ. 250 કરોડના ખર્ચે બનાવાયેલા આ ભવ્ય સ્મારકનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
















