ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને પરિણામલક્ષી બનાવવા માટે ગુજરાતમાં વિઝનરી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને આ પાયલટ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેઝેન્ટેશન મારફત “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે જ, સહકાર રાજ્ય મંત્રીશ્રીએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે જરૂરી સૂચનો કાર્ય હતા તેમજ યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
સહકાર ક્ષેત્રમાં સહકારિતાને વેગ આપવાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણી સહિત રાજ્યભરના દૂધ સંઘો તેમજ વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ચેરમેનઓ, મેનેજીંગ ડાયરેક્ટરઓ, CEO તેમજ સહકાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.