જૂનાગઢ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટ ખાતે નિર્માણ પામનાર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતુ મેમોરિયલ અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે બનશે. આ સ્મારકનું નિર્માણ કાર્ય ૯ -૧૦ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. મંત્રીએ આ પ્રસંગે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સૂત્ર વિકાસ ભી વિરાસત ભી મંત્રને સાર્થક કરવા ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર- રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે.
તેમણે ઉમેર્યું હતું કે ઉપરકોટ ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓ તેમજ આપણી ભાવિ પેઢી સામાજિક સમરસતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મની પ્રેરણા પ્રાપ્ત કરશે. અને આપણા ઉજ્જવળ વારસાથી માહિતગાર થશે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગે યોજાતા માધવપુરના ઘેડના મેળાને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસોથી આ મેળો હવે વિશ્વવિખ્યાત બનવા તરફ આગળ વધી રહ્યો છે. માધવપુરના મેળાની ભવ્યતા અને દિવ્યતાથી રાજ્યભરમાં પહોંચે તે માટે આ વખતે પ્રથમ વખત અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
તેમણે ઉમેર્યુ હતૂં કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રવાસનના વિવિધ પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે.
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, ઇતિહાસમાં અમર પાત્રો વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના વિશ્વસનિયતા, ત્યાગ, ખાનદાની, સમર્પણ જેવા ગુણો આ સ્મારકના માધ્યમથી ઉજાગર થશે.
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઇતિહાસમાં 1000 વર્ષ પહેલા આપેલા બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટ ખાતે મેમોરિયલ બનનાર છે. ત્યારે આપણા ઇતિહાસ અને બલિદાન મેમોરિયલનું નિર્માણ એ સ્વપ્ન હતું. જે હવે સાકાર થવા જઈ રહ્યું છે.
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા જણાવ્યું હતું કે, આ મેમોરિયલ થકી માતૃશક્તિ, ભાઈ-બહેનના પ્રેમ, પત્નીનું સમર્પણ, વફાદરી જેવા ગુણો આવનારી પેઢીને આત્મસાત કરવા માટે પ્રેરિત કરશે. આપણો ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને વિરાસત જળવાઈ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિકાસ ભી વિરાસત ભી ના સૂત્રને સાર્થક કરી રહી છે.
જામનાગરના સાંસદ પૂનમબેન માડમે આ સ્મારક સામાજિક સમરસતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે. તેમ જણાવ્યું હતું. તાલાળા ધારાસભ્ય ભગાભાઈ બારડે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતુ.
મંત્રી મુળુભાઈ બેરા સહિતાના મહાનુભાવોએ ખાતમુહૂર્ત બાદ અડી કડી વાવ, નીલમ તોપ, નવઘણ કુવા સહિતના સ્થળોની મુલાકાત કરી જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે મહંત મહાદેવ ગીરીબાપુ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ધારાસભ્ય સર્વ ઉદય કાનગડ, હેમંતભાઈ ખવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, મનપાના શાસક પક્ષના નેતા મનન અભાણી, અગ્રણી સર્વ નટુભાઈ ભાટુ લક્ષ્મણભાઈ વસરા, લીરીબેન માડમ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.