પુ મોરારીબાપુએ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમા ગવાઈ રહેલી “માનસ વંસત ” રામકથામાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે હમણાં જ મને સમાચાર મળ્યા કે ભારત રત્ન આદરણીયા લતા મંગેશકર એટલે કે લતા દીદી હવે નથી રહ્યાં.મારી વ્યાસપીઠ અને 170 ના શ્રોતાઓ વતી દેશોમાં કથા સાંભળી રહેલાં સૌ શ્રોતા ભાઈ બહેનને સાથે લઈ હું લતા દીદી પ્રતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.એમનો કંઠ વૈકુંઠની યાદ અપાવે છે. કેવો સ્વર, કેવો સુર! વૈકુંઠ શબ્દનો સમજણ પૂર્વક પ્રયોગ કરું છું કારણ કે વૈકુંઠનું સંગીત સત્વપ્રધાન છે.લતા દીદીના સ્વરમાં,એમનાં સંગીતમાં સત્વની પ્રધાનતા રહી છે.એમનાં સંગીતમાં કોઇ હોંશિયારી નહી પરંતુ હરિક્રૃપા રહી છે.
એમનાં નિર્વાણને પ્રણામ કરું છું. સૂર અને સ્વરના ઍક અદ્ભુત સાધિકા હવે આપણી વચ્ચે નથી પરંતુ એમનું સંગીત આપણી સાથે રહેશે.આપ મૃત્યુ નથી પામ્યાં, શાશ્વતીને પામ્યાં છો.પુનઃ એક વાર આપની વિદાયને શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. અમારાં પ્રણામ.
















