Latest

ત્રણ વર્ષમાં 426 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: દ્રઢ ઇચ્છાશક્તિ અને તેનાથી મળતી સફળતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ જોવું હોય તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞથી પ્રેરણા લઇ શકાય. સરકારી હોસ્પિટલ અને તેની કામગીરી પ્રત્યે સામાન્ય વ્યક્તિઓ પર જે નકારાત્મક અમીટ છાપ હોય છે તેને દૂર કરીને આજે ફક્ત ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું અંગદાનનું સેવાકાર્ય.
વાત છે વર્ષ 2020ની જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ઝઝુમી રહ્યું હતુ, બીજી લહેરની શરૂઆત થવાની હતી આ પરિસ્થિતીઓની વચ્ચે 27 મી ડિસેમ્બર 2020ની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું હતુ પ્રથમ અંગદાન.
રાજ્ય સરકારના SOTTO(State Organ Tissue And Transplant Organisation) ના સહયોગ અને સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની ટીમના સહિયારા પ્રયાસોથી અંગદાનની શરૂઆત થઇ.
ફેબ્રુઆરી અંત સુધીમાં લગભગ 5 થી 6 જેટલા અંગદાન થયા હતા પછી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ. કોરોનાની આ બીજી લહેર વચ્ચે પણ અંગદાનનું સેવાકાર્ય અડિખમ રીતે ચાલતું જ રહ્યું
આજે અંગદાનના આરંભને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ  વર્ષમાં કુલ 169 વ્યક્તિઓ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. જેમાં 139 બ્રેઇનડેડ વ્યક્તિઓના સ્વજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી (અત્રે નોંધનીય છે કે, અંગદાન એ ઇચ્છાશક્તિ થી થતુ દાન છે જે માટે ક્યારે કોઇ તબીબ કે વ્યક્તિ કે સરકાર દ્વારા ફરજ પાડવામાં આવતી નથી).
139 બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં 443 જેટલા અંગો મળ્યા જેને 426 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેમાં કોઇક હ્રદય, કિડની , લીવર ના અંગોની તકલીફના કારણે લાંબા સમયથી પીડામાંથી પસાર થઇ રહ્યાં હતા તેઓને નવજીવન મળ્યું.
આ 426 પરિવારોના જીવનમાં નવીન ઉજાસ પાથરવા, સમગ્ર પરિવારમાં સુખનો સુરજ ઉગાવવાનું  ઉમદા કાર્ય આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા કરવામાં આવ્યું.
સિવિલ હોસ્પિટલમાં આ 139 બ્રેઇનડેડ અંગદાતાઓ જરૂરિયાતમંદોને નવજીવન આપીને અમર થઇ ગયા છે. સિવિલ હોસ્પિટલ તંત્ર એ પણ આ તમામ અમર લોકોના સેવાકાર્યને બિરદાવવા અને તેઓને ખરા અર્થમાં અમર કરીને તેમની સ્મૃતિમાં હોસ્પિટલ પરિસરમાં જ “અમર કક્ષ”નું નિર્માણ કર્યા. જે વર્ષો સુધી અસંખ્ય લોકોને અંગદાન માટે પ્રેરણા આપતું રહેશે.
સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓના અંગદાનમાં મળેલા 426 અંગોમાં 244 કિડની, 119 લીવર, 39 હ્રદય, 9 સ્વાદુપિંડ,24 ફેફસા, 6 હાથ અને 2 નાના આંતરડાનું દાન મળ્યું.વધુમાં 104 જેટલી કોર્નિયા એટલે કે આંખનું પણ દાન આમાં મળ્યું છે.
અંગદાન થી જીવનદાનના આ ધ્યેયમંત્રને સિધ્ધ કરવા માટે 44 વખત ગ્રીનકોરિડોરનું નિર્માણ કરીને અંગોને સત્વરે એક છેડાથી બીજે છેડે ગણતરીની મીનિટોમાં પહોંચાડવામાં આવ્યું.
આ 139 અંગદાતાઓમાં 105 પુરુષ અને 34 સ્ત્રી બ્રેઇનડેડ વ્યક્તિઓ હતા. જેમાં પણ 15 થી 40 વર્ષના 81  બ્રેઇનડેડ, 40 થી 60 ની વયના 47 તેમજ 11 જેટલા વયોવૃધ્ધ બ્રેઇનડેડ અંગદાતાઓનું દાન મળ્યું.
139 બ્રેઇનડેડ અંગદાતાઓમાં 54 અમદાવાદથી, 12 ગાંધીનગર, 9 ખેડા, 4 રાજકોટ, 4 સુરેન્દ્રનગર , 4 સાબરકાંઠા, 4 સાબરકાંઠા, 6 ભાવનગર, 5 મહેસાણા. 5 જામનગર,3 દ્વારકા, 3 મહિસાગર, 2 અરવલ્લી, 2 અમરેલી,2 મોરબી,2 પોરબંદર,2 કચ્છ,2 પંચમહાલ, 1 પાટણ,1 દાહોદ,1 બોટાદ, 1 બનાસકાંઠા, 1 ગીરસોમનાથ અને એક ભરૂચ ના રહેવાસીનો સમાવેશ થાય છે.
તેમજ રાજસ્થાનના 5 , મધ્યપ્રદેશના એક, ઉત્તરપ્રદેશના 3 , બિહારના 2 અને નેપાળના એક બ્રેઇનડેડ અંગદાતાનો સમાવેશ થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાકાર્યની નોંધ રાજ્ય ઉપરાંત સમગ્ર દેશમાં પણ લેવામાં આવી અને અનેક વખત બહુમાન પણ થયું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે દિલ્હી ખાતે NOTTO(National Organ Tissue And Transplant Organisation) અને મુંબઈ ખાતે ROTTO (Regional Organ Tissue And Transplant Organisation) દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલને અંગદાન માટે Best OTRH ( Organ and Tissue Retrieval Hospital),Best Brain Stem Death Committee, Best Transplant Coordinatorનો એવોર્ડ પ્રાપ્ત થયો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ 139 અંગદાતા પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામનો આભાર માન્યો હતો.

તેમણે વિશેષમાં જણાવ્યું હતુ કે, અમારી ટીમ અથાગ પરિશ્રમથી અંગોને રીટ્રાઇવ કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું કાર્ય કરી શકે છે પરંતુ તેનાથી પહેલા જરૂરી છે અંગદાન માટે સંમતિ આપવી.

અંગદાન એ સતકાર્ય છે, દાન છે જે ઇચ્છાશક્તિ પ્રમાણે જ થાય છે.અમારી ટીમને જેમ જેમ બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગથી અંગદાનની સંમતિ મળતી રહેશે તેમ જીવ થી જીવ આપવાનો અમારો સેવાયજ્ઞ અવિરત પણે ચાલતો રહેશે.

આ ક્ષણે ડૉ. જોષીએ તમામ અંગદાતા પરિવારજનો, સરકાર, SOTTO ની સમગ્ર ટીમ, સેવાભાવી સંસ્થાઓ, મીડિયા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *