વિજાપુર, સંજીવ રાજપૂત: વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે મીડિયા દ્વારા ગરીબો અને ભૂલકાં બાળકો માટેના મળતા સસ્તા અનાજને બારોબાર વહેચી દેતા દુકાનદારનો પર્દાફાશ કરી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
વાત કરીએ તો મીડિયાને સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કુકરવાડા એપીએમસી માર્કેટમાં શ્રી ગણેશ ટ્રેડિંગ કંપની પ્લોટ નંબર 9 માં કલ્પેશભાઈ બાબુભાઇ મોદી દ્વારા વિવિધ ગામ અને અલગ અલગ જગ્યાઓ જેમ કે મંડળીઓ,
કંટ્રોલ અને આંગણવાડીઓનું ગેરકાયદેસર અનાજ ભેગું કરી તેને આસપાસની મિલોમાં ઊંચા ભાવે વેચી નાખવાનું જાણવા મળેલ જેને લઈ આ બાબતે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસરનો અનાજનો જથ્થો મળી આવ્યો હતો જેની તાત્કાલિક જાણ મામલતદારને કરવામાં આવતા નાયબ મામલતદાર સાજન પટેલ, ગોડાઉન મેનેજર અને સ્ટાફગણ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા.
તપાસ દરમ્યાન ગેરકાયદેસર ચણા, ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ગણતરી અને વજન દ્વારા તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો અને અનાજના સેમ્પલ લઈ સીલ મારી તાપસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ અનાજનો જથ્થો સીઝ કરતા આશરે 100 કટ્ટા ચોખા, 13 કટ્ટા ચણા અને 21 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો
આ ઉપરાંત નાના ભૂલકાઓને આપવામાં આવતા આંગણવાડી ના ભોજનનું અનાજ પણ મળી આવ્યું હતું. જેને સીઝ કરી ગોડાઉન ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. આમ ઉપસ્થિત વિવિધ મીડિયા થકી ગરીબો અને બાળકો માટેના સસ્તા અનાજનો કાળા બજાર કરતા આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં ચર્ચા મુજબ અગાઉ પણ એક કેસ દુકાનદાર કલ્પેશ મોદી ઉપર થઇ ચુક્યો છે અને છતાંય આ કાળો કારોબાર સતત ચાલુ રાખવામાં આવ્યો છે. વિચારો.. અત્યાર સુધી કેટલું અનાજ આ સગેવગે કરી ચુક્યો હશે. આ કૌભાંડના પર્દાફાશ માટે સ્થાનિક લોકો દ્વારા ઉપસ્થિત મીડિયાની કામગીરીને બિરદાવી હતી.
આ સમગ્ર કૌભાંડના પર્દાફાશમાં નાયબ મામલતદાર સાજન પટેલ અને ઉપસ્થિત તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહીને મીડિયા જગત બિરદાવે છે હવે જોવું એ રહ્યું કે આ કૌભાંડી સામે કડક પગલાં લેવાશે કે ફરી આ કારોબાર ચાલુ રહેશે.? આ જથ્થો ક્યાં ક્યાંથી આવતો હતો? ક્યાં મોકલાતો હતો વગેરેની સઘન તપાસ થાય તો ઘણું ખરું બહાર આવી શકે છે.