ગરીબ, શોષિત અને કાનૂની મદદથી વંચિત નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી અમરેલી જિલ્લામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ‘નાલસા જાગૃતિ સ્કીમ-૨૦૨૫’ અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ ૧૦૦ ગામોને આવરી લેતા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’ની સ્થાપના કરવામાં આવી છે.
તારીખ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ ક્લીનીકોનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યુ. દરેક તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષશ્રીઓએ જે-તે તાલુકાના નિયત કરવામાં આવેલ એક ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે રૂબરૂ હાજર રહીને આ લીગલ એઇડ ક્લીનીકનું રિબન કાપીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો.
આ ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીકનાં માળખામાં અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. દર એક ક્લસ્ટરમાં ૫ (પાંચ) ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મળીને કુલ ૨૦ ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા વર્ષ ૨૦૨૫ માં આ ખાસ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ કાનૂની જાગૃતિ લાવવી અને ન્યાયતંત્રને સામાન્ય લોકોના ઉંબરે લઈ જવાનો છે. ક્લસ્ટર મોડલ અપનાવવાથી ઓછા સંસાધનોમાં વધુ ગામોને અસરકારક રીતે ન્યાયિક સેવાઓ પૂરી પાડી શકાય છે.
આ સમગ્ર પ્રોજેક્ટનું સફળ આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના અધ્યક્ષશ્રી રીઝવાનાબેન બુખારી તથા ફુલ ટાઇમ સેક્રેટરીશ્રી આર.વાય.ત્રિવેદીના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
આ યોજનાને સફળ બનાવવા માટે દરેક તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષશ્રીઓએ ગ્રામ્ય સ્તરે જઈને ભારે જહેમત ઉઠાવી, જેના પરિણામે છેવાડાના માનવી સુધી કાનૂની મદદ પહોંચાડવાનું સ્વપ્ન સાકાર થશે.
આ ક્લીનીકો માત્ર ઓફિસ બનીને નહીં રહે,
પરંતુ જીવંત સેવાકેન્દ્ર બનશે. આ ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીકમાં તાલીમબદ્ધ પેરા લીગલ વોલેન્ટીયર્સ હાજર રહેશે. તેઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે બેસીને જરૂરિયાતમંદોને મફત કાનૂની સલાહ અને સહાય આપશે, સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે, કાનૂની પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા સમિતિ સાથે સેતુ તરીકે કામ કરશે.
ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીકની સેવાનાં પ્રારંભ અંગે અધ્યક્ષશ્રી રીઝવાનાબેન બુખારીએ સંદેશ આપ્યો છે કે, “ન્યાય મેળવવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને અંતરિયાળ વિસ્તારના લોકો આ અધિકારથી વંચિત ન રહે તે માટે ‘નાલસા જાગૃતિ સ્કીમ-૨૦૨૫’ હેઠળ આ ૧૦૦ ગામોમાં ક્લીનીકની સ્થાપના કરવામાં આવી છે.”
















