Latest

જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

વિદ્યાની પ્રાપ્તિનો સાચો ઉદ્દેશ મુક્તિ છે. ‘સા વિદ્યા યા વિમુક્તયે’ એ ભારતીય વિદ્યા પરંપરાનું પરમ ધ્યેય છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

પાટણને શ્રેષ્ઠ રીજનલ સેન્ટરનો એવોર્ડ : પ્રતિ વર્ષ સમરસતા એવોર્ડ આપવાની યુનિવર્સિટી દ્વારા જાહેરાત

જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે, શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય તે માહિતી અને આ માહિતીનો લોક કલ્યાણ માટે ઉપયોગ થાય તે જ્ઞાન : શ્રી ઋષિકેશભાઈ પટેલ

ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમની વૃત્તિ કેળવનાર નચિકેતા જેવા નવયુવાનોની દેશને જરૂર :  શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને ગરિમાપૂર્ણ  આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે આત્મિક વિકાસ તરફ પણ પ્રયાણ કરવા સંદેશ આપ્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કરતાં કહ્યું કે, તેઓ ભારતના ઇતિહાસના આઝાદીકાળના એક એવા મહાપુરુષ હતા જેમણે સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને નાતજાતના ભેદભાવ સામે એક આંદોલન શરૂ કર્યું હતું. દરેક વ્યક્તિ સમાન રીતે આગળ વધે તેવું તેમનું ચિંતન હતું. જો આપણે સૌ એકતા અને સમરસતાથી આગળ વધીશું, તો આપણો સમાજ અને દેશ નવી ઊંચાઇઓ હાંસલ કરી શકશે. તેમણે આ પ્રસંગે બાબાસાહેબની જન્મજયંતિનું સ્મરણ કરતાં એમના વિચારોને સૌ માટે પ્રેરણારૂપ ગણાવ્યાં હતાં.

વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પરિશ્રમ અને સમર્પણના પરિણામરૂપે તેઓ આજે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે. માતા-પિતા, સમાજ અને રાષ્ટ્રને વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષાઓ હોય છે. જે યુવાન આ ત્રણેયની ભાવનાઓનું સન્માન કરે છે, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનાં શિક્ષણ અને આવડતનો ઉપયોગ કરે છે તેને સફળ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સાચી શિક્ષા એ છે કે, જે માત્ર નોકરી માટે નહીં, પણ સમાજ માટે ઉપયોગી બને. તેમણે વૈદિક સંદર્ભ આપતાં કહ્યું કે, સા વિદ્યા યા વિમુક્તયે – સાચી વિદ્યા એ છે જે મુક્તિ તરફ લઈ જાય. આપણી ભારતીય વિદ્યા પરંપરાનું આ પરમ ધ્યેય છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ પરા (લૌકિક) અને અપરા (અલૌકિક) બંને વિદ્યા પ્રાપ્ત કરવાનું સૂચવે છે. આત્મા, પરમાત્મા, સંસાર સભ્યતા અને સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરવુ એ શિક્ષણનો સાર છે. શારીરિક અને આત્મિક જીવન વચ્ચેનો તફાવત સમજાવતાં તેમણે કહ્યું કે, શારીરિક સુખસાધનો જીવનના ઉદ્દેશ્ય નહીં, પણ માત્ર સાધન છે. ભારતીય દર્શન ભૌતિક વિકાસનો વિરોધ કરતું નથી, પણ ભૌતિક સુખને અંતિમ લક્ષ્ય પણ માનતું નથી. ભૌતિક સુખ સાધન એ આત્મિક વિકાસ માટેનું પગથિયું હોવું જોઈએ.

રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉજવાયેલા ‘વિકસિત ભારત’ અને ‘આતમનિર્ભર ભારત’ અભિયાનનો ઉલ્લેખ કરતાં યુવાનોએ આ દિશામાં પોતાની ભૂમિકા ભજવવાની અપીલ કરી।

રાજ્યપાલશ્રીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ ની ભાવનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, જ્યારે આપણું કુટુંબ મજબૂત હોય, ત્યારે જ આપણે સમગ્ર વિશ્વને પણ કુટુંબરૂપે જોઇ શકીએ। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ પરંપરાને મજબૂત બનાવી એક શક્તિશાળી ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે।

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજનો દીક્ષાંત સમારંભ માત્ર ઔપચારિકતા નહોતો, પરંતુ આ સમારોહમાં સત્સંગ જેવી પવિત્રતા અને ઊંડાણ હતું. તેમણે કહ્યું કે, મંચ પરથી જે વક્તવ્યો અપાયાં, એ ભાષણ નહોતાં, પરંતુ સંતોના પ્રવચન સમાન, જ્ઞાનથી ભરપૂર અને આત્માને સ્પર્શ કરતાં લાગ્યાં.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય અને તેમની ટીમને છેલ્લા વર્ષો દરમિયાન યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યાં અને યુનિવર્સિટીની પરિવારભાવનાથી આગળ વધવાની ભાવનાને ખાસ વખાણી હતી. તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટી સતત પ્રગતિની દિશામાં આગળ વધી રહી છે.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના દસમાં વાર્ષિક પદવીદાન સમારંભમાં નાના બાળકોને આમંત્રિત કર્યા છે, તે સરાહનીય બાબત છે. આજે યુવાન વિદ્યાર્થીઓને પદવી મળવાની છે તે નિહાળીને નાના બાળકોને પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જ્ઞાન અને માહિતી વચ્ચેનો ભેદ સમજાવતાં કહ્યું હતું કે, જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે, શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય તે માહિતી છે અને આ માહિતીનો સમાજ તથા લોક કલ્યાણ માટે ઉપયોગ થાય તેને જ્ઞાન કહેવાય છે.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રેડિયો અને આજની ટેકનોલોજીની વાત કરતાં જણાવ્યું હતું કે, રેડિયોને લોકો સુધી પહોંચતા 15 વર્ષ થયા હતા પરંતુ આજની ટેકનોલોજી ગણતરીના દિવસોમાં કરોડો લોકો સુધી પહોંચી શકે છે. આજે વિજ્ઞાન, સાહિત્ય અને અધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ થયો છે. ડિગ્રી એ માત્ર અર્થોપાર્જન માટે જ નથી. ડિગ્રીનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરવો જોઈએ.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સમયનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, જીવનમાં પ્રગતિ કરવા માટે સમયનો બાધ ન રાખવો જોઈએ, સતત પરિશ્રમ થકી ધારેલા કાર્યો સાર્થક કરી શકાય છે. જેથી ઘડિયાળના ટકોરે કાર્ય ન કરવું જોઈએ. કોઈપણ ધ્યેયને પ્રાપ્ત કરવા સતત કાર્યશીલ રહેવુ જોઈએ.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે આપ સૌએ વિવિધ વિષયોમાં પદવી પ્રાપ્ત કરી છે અને આવનારા સમયમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, ત્યારે આપણી જવાબદારી સમજી પરિવાર, સમાજ અને રાષ્ટ્રહિત માટે કાર્યરત થઈએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047માં યોગદાન આપીએ.

વિદ્યાર્થીઓએ મેળવેલા જ્ઞાનને જીવનનું પથપ્રદર્શક ગણાવતા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, યુવા વિદ્યાર્થીઓએ જ્ઞાન અર્જિત કરી હવે યોગ-ક્ષેમ માટે આગળ વધવાનું છે.  ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમની વૃત્તિ કેળવનાર નચિકેતા જેવા નવયુવાનોની દેશને જરૂર છે. ગીતાના ઉપદેશને ટાંકી તેમણે જ્ઞાનની મહત્તા સમજાવી હતી.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીએ હજારો યુવાઓનું શિક્ષિત બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. મંત્રીશ્રીએ ડિગ્રી પ્રાપ્ત કરવાની સાથે વિવેક, પ્રામાણિકતા, મૂલ્યનિષ્ઠતાના ગુણો કેળવવાની વિદ્યાર્થીઓને શીખ આપતા ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવાંજલી અર્પી હતી.

યુ.જી.સી.ના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર એમ. જગદેશ કુમારે જણાવ્યું કે,  NIRFના ૨૦૨૪ના રેન્કિંગ મુજબ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)એ ભારતમાં ઓપન યુનિવર્સિટીની શ્રેણીમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. ઓપન યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવું એ પરિપક્વતા, દ્રઢ નિશ્ચય અને ધગશનો માર્ગ છે. જેલના કેદી, ગૃહિણી, નોકરિયાત, બિઝનેસમેન એવા કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિ ઓપન યુનિવર્સિટીમાંથી એક સમાન શિક્ષણ મેળવી શકે છે.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી ડૉ. અમીબેન ઉપાધ્યાયે યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક કાર્યો અને ઉપલબ્ધિઓનો ચિતાર પ્રસ્તુત કર્યો હતો. તેમણે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવનાર સમરસતા એવોર્ડની જાહેરાત પણ કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારોહમાં 18,108  વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત કુલ 39 ગોલ્ડમેડલ (સુવર્ણ પદક),  40 સિલ્વરમેડલ (રજત પદક) અને  42 સર્ટિફિકેટ એમ કુલ મળીને 121 જેટલા પદકો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

રાજપાલશ્રીના હસ્તે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ રિજનલ સેન્ટરને શ્રેષ્ઠ રિજનલ સેન્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના અધ્યાપકો, પદવી મેળવનારા વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા – વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

સાવરકુંડલાના વિકાસને નવી દિશા: ૨૦ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ અને આઇકોનિક રોડનું…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *