અમદાવાદ, સંજીવ રાજપૂત: અત્યાર સુધી આપણે રાષ્ટ્રની રક્ષા કરનાર બ્લેકકેટ કમાન્ડો, એનએસજી કમાન્ડો, ચેતક કમાન્ડો, પેરા કમાન્ડો, એસપીજી કમાન્ડો જેવા નામ સાંભળ્યા છે, પણ ગ્રીન કમાન્ડો આપણે સૌએ કદાચ નહીં સાંભળ્યું હોય. આ ગ્રૂપ પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરે છે, પણ આ ગ્રૂપની કામ કરવાની એક અનોખી રીત છે. ગ્રીન કમાન્ડો પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો અને ખેતીના વિકાસ માટે નિ:સ્વાર્થે કામ કરનાર ગ્રૂપ છે.
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની મદદ માટે સદાય તત્પર એવા ગ્રીન કમાન્ડો ખેડૂતોને મદદરૂપ બનીને તેમના જીવનમાં ઊર્જા અને ઉત્સાહ ભરવાનું કાર્ય કરે છે.
અમદાવાદમાં આ ગ્રૂપની શરૂઆત પાંચ વર્ષ પહેલા જિલ્લાના જ આગેવાન વિષ્ણુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ ગ્રૂપની શરૂઆત ૩૫ સભ્યોથી થઇ હતી, જે આજે ૬૦૦થી વધુ સભ્યો સુધી પહોંચી ગઇ છે. ગ્રીન કમાન્ડો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર એમ ચાર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો અને ખેતીના વિકાસ માટે નિ:સ્વાર્થે કામ કરે છે.
આ ગ્રૂપનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની મૂળભૂત સમસ્યાઓ સમજીને તેનું નિરાકરણ લાવવાનું છે. ગ્રીન કમાન્ડો ગ્રૂપનો સભ્ય જે અનાજમાં નિષ્ણાંત છે એ પાક વિશે તમામ ખેડૂતોને માર્ગદર્શન આપે છે. આ ગ્રૂપના તમામ સભ્યોનું માનવું છે કે, પ્રાકૃતિક ખેતી કરનાર તમામ ખેડૂતો જગતના સાચા તાત છે અને સમાજના સુપર હીરો છે.
આ ગ્રૂપના સભ્ય એવા જયદીપભાઈ પટેલ કહે છે કે, આ ગ્રૂપની સ્થાપના પાંચ વર્ષ પહેલા વિષ્ણુભાઇ પટેલે વિશાલભાઇ, માધવજીભાઇ, જ્યંતિભાઇ પટેલ, દેવાંશુભાઇ, રાકેશભાઇ, સીએલ પૂજારા તેમજ અન્ય ૩૫ સભ્યો સાથે કરી હતી.
ગ્રૂપના તમામ સભ્યોનો શરૂઆતથી એક ધ્યેય રહ્યો છે કે, સમાજ પાસેથી કંઇ લેવું નથી, સમાજે આપણે ઘણું આપ્યું છે. ત્યારે આપણી ફરજ બને છે કે કોઇકનો છાંયડો બનીએ. જે ખેડૂતોએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી પસંદ કરી એવા ખેડૂતના પડખે ઊભા રહી તેમની કાયાપલટ કેવી રીતે થઇ શકે એ માટે ગ્રીન કમાન્ડો ગ્રૂપ બન્યું છે.
આ ગ્રીન કમાન્ડો ગ્રૂપની ક્યાંય નોંઘણી નથી, કોઇ સભાસદ નથી, કોઇ સભાસદ ફી નહીં, કોઇ પગાર નહીં, સ્વંય અને સ્વ ખર્ચે અને સ્વૈચ્છાએ જોડાયેલા વ્યક્તિઓ થકી આ ગ્રૂપ ચાલી રહ્યું છે. આ ગ્રૂપ ગામડાંઓને સમૃદ્ધ કરવાના ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યું છે.
ગામડાઓ સમૃદ્ધ કરવા હોય તો ગામનો પૈસો ગામમાં રહે અને શહેરનો પૈસો પણ ગામમાં આવવો જોઇએ. ખેડૂતોએ પોતાની જે ઊપજ કરી છે એ ઊપજનો પૈસો જો ગામડામાં આવે તો ખેડૂત સદ્ધર થઇ શકે છે. એટલા માટે ખેડૂતોએ પકવેલું અનાજ શહેરના લોકો સુધી કેવી રીતે પહોંચે અને શહેરનો પૈસો ગામમાં કેવી રીતે આવે તેના માટે અમારું ગ્રૂપ પ્રયત્નશીલ છે.
તેઓ વધુમાં કહે છે કે, અમે ખેડૂતોની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ. ગ્રીન કમાન્ડો ગ્રૂપના સભ્યો ખેડૂતોના ખેતરે ખતરે જઇને અમે ૭૦૦ ખેડૂતોના ખેતરનું સોઇલ સેમ્પલિંગ કરાવ્યું હતુ. આ સોઇલ ટેસ્ટ બાદ જમીનમાં જે તત્ત્વની ઊણપ હતી એ તત્ત્વો અમે અલગ અલગ જગ્યાઓ પર જેમ કે છત્રાલ, સાણંદ,અંકલેશ્વર પર જઇને લાવ્યા હતા.
ત્યારબાદ આ તમામ તત્ત્વો અમે ખેડૂતોના ખેતર સુધી પહોંચાડ્યા હતા. આમ જે તત્ત્વોની ઊણપ હતી એ દૂર થઇ હતી. એટલું જ નહીં, છોડમાં તંદુરસ્તી પણ આવી અને તંદુરસ્તીને કારણે પાક સારો આવ્યો અને મીઠાશ પણ વધી હતી. જમીનમાં ઝીંક-આર્યન જેવા તત્તવો ઉમેરવાથી એ તત્ત્વો પણ પાકમાં સહજ રીતે આવે છે અને તે ખોરાક ખાવાથી આપણા શરીરમાં પણ આવે છે.
આ સાથો-સાથ અમે પ્રાકૃતિક ખેતી માટે ડીએપી અને યૂરિયાનો વિકલ્પ પણ શોધ્યો છે. ડીએપીનો ઉકેલ શોધવા અમારી ટીમ ઉદેયપુર પહોંચી ગઇ હતી અને ત્યાંથી શ્રેષ્ઠ ટકાવારી હોય તેવો રોક ફોસ્ફેટ લાવ્યા હતા. ત્યારબાદ તેના પર અલગ અલગ રિચર્સ કરીને શ્રેષ્ઠ પ્રોમ પ્લસ ખાતર તૈયાર કર્યું, જે બજારમાં ૮-૧૦ રૂપિયા મળતું પ્રોમ પ્લસ અમે ૩ રૂપિયા કિલોએ એટલે કે પડતર કિંમત પર ખેડૂતોને આપ્યું હતુ. આ અમે એટલા માટે બનાવી શક્યા કે અમારા ટીમના કેપ્ટન વિષ્ણુભાઇ દિનરાત ખેડૂતો માટે મહેનત કરે છે અને દરરોજ ચાર કલાક ખેડૂતો માટે શું ઉપયોગી થઇ શકે તેના પર રિચર્સ પણ કરે છે.
જયદિપભાઇ પટેલ કહે છે કે, જંતુનાશક દવાઓનો સવિશેષ ઉપયોગ શાકભાજીમાં થાય છે, જે માનવજાત માટે હાનિકાર છે. શાકભાજીમાં નાખેલ દવા ૭૨ કલાકમાં માનવ શરીરમાં જાય છે. માનવ શરીરમાં આ ઝેર ન જાય એ માટે ગ્રીન કમાન્ડો ગ્રૂપ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી છે. ગ્રીન કમાન્ડો ગ્રૂપના સભ્યોએ અલગ અલગ ૪૦ પ્રકારની વનસ્પતિઓ ભેગી કરી.
દરેક વનસ્પતિમાં કયા પ્રકારના ઔષધી ગુણો અને વિકાસના ગુણો રહેલા છે તેનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઔષધીય ગુણો અને વિકાસના ગુણોનું કોમ્બિનેશન તૈયાર કર્યું. છત્રાલ પાસે ગણેશપુરા ગામની નજીક એક ફેક્ટરીમાં અમે ૧૦ હજાર લિટર જેવી દવા તૈયાર કરાવી. આખા ગુજરાતમાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેમને આ દર્શપણી અર્ક નિઃશુલ્ક આપીએ છીએ.
આ દવા આપતી વખતે અમે ખેડૂતોને એટલું જ કહીએ છીએ દર અઠવાડિયે છંટકાવ કરવો જોઇએ. પ્રાકૃતિક દવાનો નિયમિત છંટકાવ કરવાથી પાકના રોગ પર કંટ્રોલ લાવી શકાય છે. આમ, માનવ શરીરમાં ઝેર ન જાય એ ઉદ્દેશ સાથે અમે ગુજરાતના કોઇપણ ખેડૂત જે પ્રાકૃતિક ખેતી કરતો હોય કે ન કરતો હોય એ તમામને આ દવા અમે નિ:શુલ્ક આપીએ છીએ.
આમ, ખેડૂતોનો ખર્ચ કેવી રીતે ઘટે, પાકમાં રોગ ન આવે અને ખેડૂતોની ઉપજમાં કેમ વધારો થાય તેવો ગ્રીન કમાન્ડો ગ્રૂપના તમામ સભ્યોનો પ્રયાસ છે.
ગ્રીન કમાન્ડો સાથે સંકળાયેલા અમદાવાદ જિલ્લા ખેડૂત એવા ગજેન્દ્રસિંહ વાઘેલા કહે છે કે, હું આ ગ્રૂપ સાથે શરૂઆતથી જોડાયેલો છું. આ ગ્રૂપનો એક મુખ્ય ઉદ્દેશ એ પણ રહ્યો છે કે, જે ખેડૂતો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી કરે છે તેમના પાકના વેચાણમાં પણ મદદરૂપ બને છે. આ ગ્રીન કમાન્ડો ગ્રુપે મારા પાક વેચવા સુધીની મદદ પણ કરી છે.
અમુકવાર અમે આનાજ પકવીને છુટ્ટા થઈ જઈએ છીએ. ત્યારબાદ અમારા માટે ગ્રાહક શોધવા, અનાજ કેવી રીતે મેળવવું, ડિલિવરી કેવી રીતે કરવાની, ક્યાં કરવાની જેવી તમામની જવાબદારી ગ્રીન કમાન્ડો સેવાભાવે નિભાવી રહ્યા છીએ.
આ ગ્રૂપ દ્વારા ફાર્મર ટુ ફેમિલી વચ્ચે કોઇ કમિશન નહીં કોઇ નફો નહીં એ ધ્યેય રહ્યો છે. ચોખા, તુવેરદાળના આવેલા રૂપિયા ગ્રાહક સીધો ખેડૂતના ખાતમાં જ જમા કરાવે છે. આમ સંપૂર્ણ પારદર્શક વહિવટ ગ્રીન કમાન્ડો ગ્રૂપ દ્વારા કરવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની પ્રાથમિક સમસ્યાઓ કેવી રીતે પલટાઇ જાય, તેના પર ગ્રીન કમાન્ડો કામ કરે છે. ખેડૂતોના પાકમાં રોગ ન આવે, ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ કરવા, જમીનમાં કાર્બન તત્ત્વ કેવી રીતે ઉમેરવું, જમીનમાં પી.એચ. આંક કેવી રીતો ઓછો કરી શકાય, ગળતીયુ ખાતર કે સારું કહોવડાયેલુ છાણીયુ ખાતર કેવી રીતે તૈયાર કરવુ,
જમીનમાં બેક્ટેરિયા કેવી રીતે ઉમેરી શકાય જેવા તમામ વિષયો પર ગ્રીન કમાન્ડો પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની પડખે રહીને કામ કરે છે. આ સાથો-સાથ દશપર્ણી અર્ક કેવી રીતે બનાવવો, ક્યારેય બનાવવો, પાકમાં આવતો રોગ કેવી રીતે અટકાવવો, રોગ શા માટે આવ્યો એ બાબતોનો મોટાભાગના ખેડૂતોને ખ્યાલ હોતો નથી. આ બધા વિષયો પર ગ્રીન કમાન્ડો ખેડૂતોને વિગતવાર માહિતી પૂરી પાડે છે.
ખેડૂતો આ બધી સમસ્યાને દૂર કરીને ખેતી કરશે તો ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે તો ખેડૂતોની આવક પણ વધશે. આ તમામ કામગીરી ગ્રીન કમાન્ડો ગ્રૂપના તમામ સભ્યો કોઇપણ પ્રકારની ફી લીધા વગર નિ:શુલ્ક સેવા ભાવે ખેડૂતોના ખેતર પર જઇને કામ કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે, ખેતીમાં મધમાખી એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટાભાગના કિસ્સાઓમાં જોવા આવે છે કે, મધમાખીના ડરના કારણે ખેડૂતો મધમાખીથી દૂર રહે છે. આ સમસ્યાના નિવારણ માટે ગ્રીન કમાન્ડો દ્વારા એવી મધમાખીઓને પસંદ કરી જેનો કાંટો નુકસાન કર્તા ન હોય. આ પ્રકારની મધમાખીઓની પેટીઓ અમે કેરળથી લઇને આવ્યા હતા. ત્યારબાદ આ મધમાખીઓને પેટીઓ અમે દરેક ખેડૂતોના ખેતરે ખેતરે પહોંચાડી છે.
ગ્રીન કમાન્ડો ગ્રૂપ દ્વારા ડાંગરનું ઉત્પાદન વધે એ માટે અમે દરેક ખેતરે ખેતરે અઝોલા પહોંચાડ્યા છે. અઝોલા એક એવી વનસ્પતિ છે, જે ચોવીસ કલાક યુરિયા આપનારી ફેક્ટરી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી અમે અઝોલા લાવ્યા અને ત્યારબાદ એ અઝોલાને ડેવલોપ કર્યા.
અમે ગયા અંદાજિત વર્ષે ૫૦૦ વીધામાં અઝોલા નાખ્યા છે. આ અઝોલા જીવતા હોય ત્યારે યુરિયા આપે અને પાણી પૂરું થાય એટલે એ ખાતર થઇ જાય એટસે કે ડબલ ધમાકા જે ખેડૂતોની ખેતીમાં ઉપયોગી બને છે. અજોળા પથરાવવાને કારણે વધારાનું નિંદામણ થતું નથી જેવા અનેક ફાયદા ડાંગરની ખેતીમાં પણ મળ્યા છે.
ગ્રીન કમાન્ડો ગ્રૂપનું માનવું છે કે, દરેક પાકમાં રોગ ન આવે તે માટે ખેડૂતોએ કેટલાક પ્રાથમિક પગલાઓ તો લેવા જ પડશે. ખેડૂતોએ સોઇલ ટેસ્ટ જરૂરથી કરાવવો જોઇએ. કેમ કે, સોઇલ ટેસ્ટ જ્યાં સુધી નહીં કરાવો ત્યા સુધી ખ્યાલ નહીં આવે કે જમીનમાં કયું તત્ત્વ ઘટે છે. રોગ અટકાવવા માટે ખેતરમાં યલો, બ્લૂ ટ્રેપ તેમજ રાત્રે જીવાતો ન આવે તે માટે લાઇટ ટ્રેપ અવશ્ય લગાવી જોઇએ. આ ઉપરાંત ફેરોમેન ટ્રેપ પણ અતિ આવશ્યક છે.