અમદાવાદ, સંજીવ રાજપૂત: અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના પરિણામે અંગદાન મળવાનું પ્રમાણ પણ સતત વધતું રહ્યું છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે માત્ર ૧૨ કલાકના ટૂંકા ગાળામાં બે અંગદાન પ્રાપ્ત થયાં છે. આ બે અંગદાન બાદ અંગદાનનો આંકડો ૨૦૪એ પહોંચી ગયો છે.
સિવિલમાં થયેલા આ બે અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 કલાકના સમયગાળામાં બે અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયાં છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૨૦૪ અંગદાનોમાંથી ૬૭૦ અંગો પ્રાપ્ત થયાં, જેના થકી ૬૫૧ જરૂરિયાતમંદને નવજીવન મળ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ડૉ. જોષીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયાસોને લીધે લોકો હવે સાચા અર્થમાં અંગદાનના મહત્ત્વને સમજતા થયા છે. જેને કારણે અંગદાનનું પ્રમાણ છેલ્લાં વર્ષોમાં વધ્યું છે.
બે અંગદાનમાંથી પ્રથમ કિસ્સાની વાત કરીએ તો અમદાવાદમાં નિર્ણયનગર રાણીપ ખાતે રહેતા ૫૦ વર્ષનાં રતનબહેન વાઘેલાને જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બીજી ઑગસ્ટના રોજ અકસ્માત થયો હતો. માથાના ભાગે ઇજા થતાં ૧૦૮ મારફતે પ્રથમ સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં.
સિવિલ હોસ્પિટલ ખાતે બે દિવસની સઘન સારવાર દરમ્યાન ચોથી ઑગસ્ટના રોજ સિવિલના ડૉક્ટરોની ટીમ દ્વારા રતનબહેન બ્રેઇનડેડ થયાં હોવાનું પરિવારજનોને જણાવાયું હતું. સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના દીકરા તેમજ અન્ય પરિવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઈનો જીવ બચાવવા અંગદાન કરવાનો ઉમદા નિર્ણય કર્યો. રતનબહેનના અંગદાનથી બે કિડની, એક લીવર, બે આંખો તેમજ એક ત્વચાનું દાન પ્રાપ્ત થયું છે.
બીજા કિસ્સામાં ભાડ, પોરબંદરના રહેવાસી એવા ૪૧ વર્ષના હાજાભાઇને અકસ્માત થતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને પ્રથમ પોરબંદર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રિફર કરવામા આવેલા. સિવિલ હોસ્પિટલમાં બીજી ઑગસ્ટના રોજ દાખલ કર્યા બાદ ૪૮ કલાક કરતાં વધુ સમય સુધી આઇસીયુમાં તેમની સઘન સારવાર કરવામાં આવી. પરંતુ ચોથી ઑગસ્ટના રોજ સારવાર દરમ્યાન સિવિલના ડોક્ટરોની ટીમે હાજાભાઈ બ્રેઇન ડેડ હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. હોસ્પિટલમાં હાજર તેમનાં પત્ની સહિતના પરિવારજનોએ ખૂબ જ વ્યથિત હૃદયે પણ અંગદાન કરી બીજા કોઈનો જીવ બચાવવાનો ઉમદા નિર્ણય કર્યો. હાજાભાઇના અંગદાનથી બે કિડની અને એક લીવર તેમજ બે આંખોનું દાન મળ્યું છે.
12 કલાકના ટૂંકા ગાળામાં થયેલાં બે અંગદાનથી મળેલ ૪ કિડની અને ૨ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશ. તેમજ મળેલ ચાર ચક્ષુનું દાન સિવિલ મેડિસિટીની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ અંગદાનથી મળેલ એક ત્વચાના દાનને સિવિલ હોસ્પિટલની જ સ્કીન બેંક દ્વારા સ્વીકારવામા આવ્યું હતું. જેને હોસ્પિટલ માં દાખલ દાઝેલા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૭૨- કિડની, ૧૭૯- લીવર, ૬૫- હૃદય, ૩૨- ફેફસાં , ૧૪- સ્વાદુપિંડ , બે નાનાં આંતરડાં, ૨૨ સ્કીન અને ૧૪૨ આંખોનું દાન મળ્યું છે.