અમદાવાદ, સંજીવ રાજપૂત: અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સે પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ના સ્ટાર ખેલાડી મોહમ્મદરેઝા શાદલૂને ટીમનો કેપ્ટન જાહેર કર્યો. આ સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી હતી.
પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝનનો પ્રારંભ 29 ઓગસ્ટથી વાઈજેગ ખાતે થઈ રહ્યો છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સની ટીમ બીજા દિવસે 30 ઓગસ્ટના રોજ રાજીવ ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યુ મુમ્બા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ટીમ પોતાના ટાઈટલ જીતવાના લક્ષ્યાંક પર ફોક્સ કરતા લીગ રાઉન્ડમાં 18 મુકાબલાઓ રમશે.
કેપ્ટનના નામની જાહેરાત અને જર્સી લોન્ચની આ ઈવેન્ટમાં ટીમના હેડ કોચ જયવીર શર્મા, આસિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુ અને અદાણી સ્પોર્ટ્સ લાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા સામેલ રહ્યાં હતા.
આ વર્ષની પ્રો-કબડ્ડી લીગની હરાજી ગુજરાત જાયન્ટ્સ માટે ઐતહાસિક રહી હતી. જેમાં ટીમે 2.23 કરોડ રૂપિયામાં ઈરાનીયન પાવરહાઉસ તરીકે જાણીતા મોહમ્મદરેઝા શાદલૂને ટીમમાં સામેલ કર્યો હતો, જે આ વર્ષની હરાજીની હાઈએસ્ટ બીડ પણ રહી હતી. 2 વખતના પ્રો-કબડ્ડી લીગ ટાઈટલ વિજેતા, ગત વખતે મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર (એમવીપી) અને ઘણીવાર શ્રેષ્ઠ ડિફેન્ડર રહેલ મોહમ્મદરેઝા શાદલૂ ટીમમાં સર્વશ્રેષ્ઠ ડિફેન્સિવ પાવર અને સિદ્ધ થયેલ નેતૃત્ત્વ ક્ષમતાને ઉમેરવાનું કામ કરે છે.
ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન બનવા મુદ્દે શાદલૂ એ કહ્યું કે,”લીગની 12મી સિઝનમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન્સી કરવાની તક મેળવી ગર્વ અનુભવી રહ્યો છું. અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ 20થી ઓછા કે તે સમાન વયના છે. અમારી પાસે યુવા, ઊર્જાથી ભરપૂર અને ગતિશીલ યુનિટ છે. અમે આગામી સિઝનમાં રમવા ઉત્સુક છીએ. હું અદાણી સ્પોર્ટ્સલાઈન અને ટીમના બંને કોચનો આભારી છું કે- તેમણે મારી પ્રત્યે વિશ્વાસ દાખવતા આ જવાબદારી સોંપી છે. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું.
3 દાયકાથી પણ વધુ સમયનો કબડ્ડી કોચિંગનો અનુભવ ધરાવતા ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ જયવીર શર્માએ આ મુદ્દે કહ્યું કે,”હું ઉત્સુક છું અને ખેલાડીઓની જેમ નર્વસ પણ. કારણ કે- આ મારી પ્રથમ પ્રો-કબડ્ડી લીગ સિઝન છે. અમે પ્રિ-સિઝન કેમ્પમાં બેંગ્લુરુ ખાતે સારી તૈયારી કરી છે. અદાણી સ્પોર્ટ્સલાઈને ટીમના દરેક સભ્યની સારી રીતે દેખરેખ રાખી છે અને અમે આવનાર અમુક મહિના બાદ ટાઈટલ સાથે અમદાવાદ પરત ફરી તમારી સાથે તેની ઉજવણી કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યાં છીએ.
આસિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુએ કહ્યું કે,”અમે બેંગ્લુરુમાં આકરી ટ્રેનિંગ કરી પ્રો-કબડ્ડી લીગની 12મી સિઝનની તૈયારીઓને પૂર્ણ કરી છે. આ મારું લીગમાં ડેબ્યૂ પણ રહેશે. આ તક આપવા બદલ હું અદાણી સ્પોર્ટ્સલાઈનનો આભાર માનું છું. અમારું ફોક્સ સંપૂર્ણ સિઝન દરમિયાન મજબૂત પ્રદર્શન કરતા રહેવાનો છે.
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સંજય આદેશરા એ કહ્યું કે,”અમારી અપેક્ષા સ્પષ્ટ છે કે- ગુજરાત જાયન્ટ્સ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપતા ગુજરાત અને સમગ્ર ભારતમાં રહેલા ટીમના ફેન્સને વૈશ્વિક સ્તરીય કબડ્ડીનો અનુભવ કરાવે. અમે હંમેશા પ્રતિભાને ઉત્કૃષ્ટ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની અમારી ફિલસૂફીને લાગુ કરતા રહ્યાં છીએ. અમારી આ સિઝનની ટીમની યુવા સરેરાશ વય તેને પ્રતિબિંબિત કરે છે. અમારા કોચના સફળ ટ્રેક રેકોર્ડ સાથે અમારા ઉદ્દેશ્યો સ્પષ્ટ છે, અને ટીમ આ સિઝનમાં ઉચ્ચ સ્તરીય પ્રદર્શન માટે તૈયાર છે.