પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ.આ દિવસને વિશેષ રીતે ઊજવવામાં આવે છે. વૃક્ષો માત્ર પર્યાવરણ ની શોભા જ નથી, પણ માનવજીવનનું અભિન્ન અંગ છે.પૃથ્વી પર વસતાં તમામ સજીવો-નિર્જીવોને પોત પોતાનુ જીવન છે.સૌનું કુદરતી આયુષ્ય પણ નિશ્ચિત છે અને તે સૌ કુદરતી પ્રેરણા અનુભવે છે.સૌ પરસ્પરાવલંબનથી જીવે છે.આપણા સૌના સદૈવ મિત્રો વૃક્ષો છે.આપણું જીવન વૃક્ષો પર આધારિત છે તે ખાસ સમજવું પડશે.વૃક્ષ દ્વારા પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે.વૃક્ષો પોષણકડીમાં પ્રાથમિક ઉત્પાદકો છે,કારણ સૂર્ય દ્વારા પ્રાપ્ત પ્રકાશશક્તિનો ઉપયોગ કરી તેનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરવા માટે વૃક્ષો સમર્થ છે.
વૃક્ષના આર્થિક લાભની ગણતરી કરવી એ પર્યાવરણનો દ્રોહ ગણાશે,પરંતુ સજીવની ઉપયોગીતાને ધ્યાનમાં લેવું મહત્વની બાબત છે.બળતણ માટેનું લાકડું,અગ્નિદાહ માટેનું લાકડું,ફળ,ફૂલ તેમજ કેટલાંક પ્રાણી પક્ષીનો ખોરાક વૃક્ષ આપે છે.વૃક્ષમાંથી લાખ,ગુંદર તેમજ જુદાં જુદાં ઔષધો મળે છે; જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દરેક વૃક્ષના મૂળ,પર્ણ, કૂંપણ, શાખાઓ, પુષ્પ વગેરે જુદી જુદી ગુણવત્તા અને ઉપયોગીતા ધરાવે છે.સૃષ્ટિ ઉપરનું કોઈપણ વૃક્ષ એવું નહિ હોય કે જે કોઈપણ પ્રકારની ઉપયોગિતા ન ધરાવતું હોય.
જો વૃક્ષનું આર્થિક મૂલ્ય ગણવું હોય તો બધી જ બાબતો ગણતાં 16 લાખ રૂપિયાનો ફાયદો એક વૃક્ષ દ્વારા ચાર દસકામાં જ થાય છે.વૃક્ષો અવાજ- પ્રદૂષણનું શોષણ કરે છે.વૃક્ષો બાષ્પત્સર્જન દ્વારા જમીનનું વધારાનું પાણી અવકાશમાં અર્પે છે,જે વાદળનું બંધારણ બને છે.વૃક્ષોની આસપાસનું તાપમાન ઉનાળામાં ઠંડકમય રહે છે.તેથી કુદરતી ઠંડી હવા મળે છે.મોટા શહેરોમાં વૃક્ષો ઓક્સિજન મથકો તરીકે ઉપયોગી છે.મધ્યમ કદનું 50 વર્ષનું વૃક્ષ એક વર્ષમાં એક મેટ્રિકન ઓક્સિજનનું ઉત્પાદન કરે છે.નાનાં બાળકોને બાદ કરતાં ભારતમાં દર વર્ષે લગભગ 100 કરોડ નવા વૃક્ષોનું વાવેતર થાય અને તેનું જતન થાય,તેનો ઉછેર થાય તો પાંચ વર્ષમાં ભારતમાં આપમેળે હરિયાળી ક્રાંતિ આવે.
” એટલે તો શાસ્ત્રમાં કહ્યું છે કે
દસ વીરડા બરાબર એક કૂવો
દસ કૂવા બરાબર એક વાવ
દસ વાવ બરાબર એક તળાવ
દસ તળાવ બરાબર એક સરોવર
અને દસ સરોવર બરાબર એક વૃક્ષ.
આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે,” હું મારી શાળામાં, કે મારા ફળિયામાં કે મારા ગામમાં કે જ્યાં અનુકૂળતા મળે ત્યાં વૃક્ષદેવનું વાવેતર કરીશ,તેનું પૂજન કરીશ અને તેનું જતન કરીશ.”
આવો આપણે આજના શુભ દિવસે એક છોડ રોપવાનો સંકલ્પ કરી તેના રક્ષણ અને સંવર્ધન માટે ની પ્રતિજ્ઞા લઈએ..
છોડમાં રણછોડ,
વૃક્ષ માં વાસુદેવ અને
તુલસીમાં તુલસીશ્યામના
દર્શન કરી ધન્યતાની અનુભૂતિ પ્રાપ્ત કરીએ…
મુકેશકુમાર પ્રભાતસિંહ મહિડા તરફથી આજના વિશ્વ પર્યાવરણ દિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ….,.
રિપોર્ટર માનસી રાઠવા આણંદ
















