અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ના રાષ્ટ્રવ્યાપી આહ્વાનને અનુસરીને આજે ઘાટલોડિયામાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવથી ઓતપ્રોત વાતાવરણમાં પી. કે. ઝા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, MSME મંત્રાલય, ભારત સરકારના ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજનું ગૌરવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ ઘાટલોડિયા વોર્ડના AMC કોર્પોરેટર શ્રીમતી પટેલ રિન્કુ બિમલકુમારના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં શ્રીમતી જાગૃતિબેન જયમિનભાઈ પંડ્યા, AMC કોર્પોરેટર, ઘાટલોડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગેરોહિતભાઈ ઠાકોર,વ્રજ પટેલ,ગૌરાંગભાઈ પટેલ,જસવંતભાઈ પંચાલ તથા શ્રીમતી મિનાક્ષીબેન ઓઝા સહિત અન્ય આગેવાનો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ્’ અને ‘જય હિંદ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે તિરંગો દરેક ભારતીયની આન, બાન અને શાન છે. તિરંગો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાન, શાંતિ, સમૃદ્ધિ, ધૈર્ય તથા સતત પ્રગતિની ભાવનાનું પ્રતિબિંબ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી સમગ્ર દેશમાં ચાલી રહેલું ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ પ્રબળ બનાવી રહ્યું છે. દરેક ઘેર તિરંગો ફરકાવવાનો સંદેશ માત્ર એક અભિયાન નથી, પરંતુ દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત કરવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવવા તથા રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પી. કે. ઝાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોનો આ રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
















