દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં ભાવનગર પોલીસ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રથયાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે રથયાત્રાના સમગ્ર રૂટ ને જુદા જુદા પાંચ સેક્ટરમાં વિભાજિત કરી ત્રિ-સ્તરીય બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં પાંચ હજારથી પણ વધુ પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાત છે.
આ સમગ્ર રથયાત્રામાં જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલની નિગરાની હેઠળ ૧૪ એ.એસ.પી, ડી.વાઇ.એસ.પી., ૪૪ પી.આઇ., ૧૧૨ પી.એસ.આઇ., ૧૯૧૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧૫૧૫ હોમગાર્ડ, બી.ડી.એસ. ૩ ટીમ, ૩૦ માઉન્ટેડ પોલીસ, સી.આઇ.એસ. એફ. ની એક ટુકડી, એસ.આર.પી.ની પાંચ ટુકડી, ૧૬૨ સી.સી.ટી.વી., ૨૪ બોડી વોર્ન કેમેરા, ૦૪ ડ્રોન કેમેરાની મદદથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ભગવાનના રથની સુરક્ષામાં ચાર ડી.વાઇ.એસ.પી. કક્ષાના અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.