ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણીયાએ “નમો સખી સંગમ મેળો”ને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે, ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ ૯ થી ૧૨ માર્ચ દરમિયાન “નમો સખી સંગમ મેળો”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અનેક મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં આગવી સિધ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે સ્વરોજગારી મેળવવાની સાથે મહિલાઓ આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
મંત્રીશ્રીએ “નમો સખી સંગમ મેળા” ના આયોજન અંગે મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજાર પૂરું પાડવાના હેતુથી ૧૦૦થી વધુ વેચાણ માટેનાં પ્રદર્શન સ્ટોલ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં આર્ટ, ક્રાફ્ટ, ઓર્ગેનિક ફૂડ, હેન્ડલૂમ, બીડ વર્ક, તેમજ કલા કારીગરી, શૃંગાર અને ખાદ્ય આઇટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહિલા-અધિકાર, સમાનતા અને સશક્તિકરણ”ની થીમ સાથે મેળાને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં સ્વ સહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને અન્ય ઉદ્યમો થકી પ્રાપ્ત કરેલ અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે. સાથો સાથ “દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન” અંતર્ગત ૩ ગ્રામ સંગઠનોને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ૨ સ્વ સહાય જૂથોને કેશ ક્રેડીટ લોનનું વિતરણ અને ૪૦ લખપતી દીદીને શિલ્ડ અને કીટ આપી સન્માન કરવામાં આવશે.
“નમો સખી સંગમ મેળા” માં સ્ત્રી “શક્તિ, મુક્તિ અને પ્રગતિ” વિષય પર લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા દ્વારા પ્રેરક ઉદ્દબોધન કરવામાં આવશે તેમજ “ગ્રામીણ ઉદ્ધમિતા” વિષય પર ઇરમા, આણંદના વક્તા દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. “સ્ત્રી સશક્તિકરણ” વિષય પર વિખ્યાત મોટીવેશનલ સ્પીકર સુશ્રી નેહલબેન ગઢવી દ્વારા અને “મહિલા આરોગ્યના વિવિધ પાસા” વિષય પર સુપ્રીન્ટેન્ડન્ટશ્રી, સર ટી. હોસ્પીટલ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.
કૃષિ તજજ્ઞો દ્વારા “પ્રાકૃતિક અને ગૌ આધારીત ખેતી” વિષય પર અને “નારી તું નારાયણી” વિષય પર મોટીવેશનલ સ્પીકર શ્રી તુષાર શુક્લા દ્વારા અને “ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવનાઓ” વિષય પર ઈડીઆઈઆઈના સિનિયર પ્રોગ્રામ મેનેજરશ્રી નિશિત પટેલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.
આ વેળાએ મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનો પણ આભાર માન્યો હતો. ભાવનગરનાં આંગણે યોજાનાર “નમો સખી સંગમ મેળા” માં ઉપસ્થિત રહેવા ભાવનગરની તમામ મહિલાઓ, સ્વ- સહાય જૂથની બહેનોને સહભાગી થવા આપવા અપીલ કરી ભાવેણાવાસીઓને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ, નાયબ માહિતી નિયામક શ્રી આર. એસ. ચૌહાણ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.