દેવભૂમિ દ્વારકા: સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને ચરિતાર્થ કરતો માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ પૂર્ણ થયા બાદ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજી સત્કાર સમારોહના ભાગરૂપે શોભાયાત્રા યોજાઇ હતી.
દ્વારકાના હાથી ગેટ ખાતે શોભાયાત્રાનું આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પણ ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજીને ઉત્સાહભેર કંકુ તિલક કરીને ઢોલ નગારા અને પુષ્પવર્ષા સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ શોભાયાત્રા દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. આ યાત્રાનું દ્વારકાધીશ મંદિર, ભદ્રકાલી ચોક, રબારી ગેટ અને રુકમણી મંદિર ખાતે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, વેપારીગણ, નગરજનો દ્વારા પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રુક્મણી મંદિર ખાતે સમાપન થઈ હતી જ્યાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીને દ્વારકાની નગરીમાં નિવાસ માટે મીઠો આવકાર આપ્યો હતો.
આ વેળા એ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પબુભા માણેક, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.