વડનગર, સંજીવ રાજપૂત: ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મ ભૂમિ અનંત અનાદિ વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને મેદસ્વીતાથી દુર રહેવા કરેલા આહ્વાનને ઝીલી લઈને ગુજરાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ વર્ષે 11 માં યોગ દિવસે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ કર્યો છે.
રાજ્ય ભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસ ની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાથ્ય વિરાસત વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રયાસોથી વિશ્વના દેશોના લોકોની રોજબરોજની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું.
તેમણે યોગ અભ્યાસની જીવન માં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા બહેન, રાજ્ય યોગ બોર્ડ અધ્યક્ષ શીશ પાલજી તેમજ ધારા સભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો, યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.