બોટાદ જીલ્લાના ૭૦ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત
બોટાદ જિલ્લાની પ્રજાએ સોશિયલ મીડિયા સહિતના માધ્યમોથી ખોટી અફવાઓના લીધે ગેરમાર્ગે ન દોરાવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
બોટાદ જિલ્લામાં સોશિયલ મીડિયા મારફતે અને જન સામાન્યમાં ફેલાયેલી પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ બાબતે જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની સુચના મુજબ તમામ મામલતદાર તથા જિલ્લાની ટીમ દ્વારા સઘન તપાસણી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. બોટાદ જિલ્લાની પ્રજાએ સોશિયલ મીડિયા સહિતના માધ્યમોથી ખોટી અફવાઓના લીધે ગેરમાર્ગે ન દોરાવા જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા બોટાદ જિલ્લાના ૭૦ પેટ્રોલ પંપ પર સધન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકોને અફવાઓથી પ્રેરાઈને જથ્થાનો બિન જરૂરી સંગ્રહ ન કરવા સમજાવવામાં આવ્યા હતા. વધુમાં તંત્રએ પેટ્રોલપંપના સંચાલક પાસેથી સ્ટોકની વિગતો મેળવી હતી. અને તેઓ દ્વારા પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તકેદારીના ભાગ રૂપે જિલા વહીવટી તંત્ર દ્વારા દરેક પેટ્રોલપંપ ઉપર કેરબા-પીપડામાં પેટ્રોલ ન આપવાની કડક સુચના આપવામાં આવી છે. ઉપરાંત, તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દોરાઇને પેટ્રોલ, ડીઝલનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
















