રાજધાની દિલ્લીમાં મોરારીબાપુ દ્વારા ગવાઇ રહેલી રામકથા “માનસ સનાતન ધર્મ” ના આજના પાંચમા દિવસે કથારંભ પૂર્વે સણોસરા લોકભારતીના સૂત્રધાર શ્રી અરુણભાઇ દવેએ સંસ્થામાં નવીનતમ અભ્યાસક્રમ RAAM (Rising Aposteles for Ahimsa and Maitri) ના આરંભની ઉદ્ઘોષણા કરી હતી.
વાસ્તવમાં, પોલેન્ડની રામકથાનું શ્રવણ કર્યા પછી શ્રી અરુણભાઈને વિચાર આવ્યો કે બાપુને થેંક્યું કહેવું હોય તો શું કરવું ? વિશ્વ આખું યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું છે અને વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે વ્યક્તિત્વના ઉર્ધ્વીકરણ સાથે વિશ્વ શાંતિના ક્ષેત્રે પણ યોગદાન આપી શકે તેવા ફલાવર્સ તૈયાર કરી શકાય, તે હેતુથી આવા અભ્યાસક્રમનો આરંભ કરવાનું બીજ રોપાયું.
મહાત્મા ગાંધીબાપુ અને પૂજ્ય મોરારીબાપુના જીવન-મૂલ્યો પરથી પ્રેરણા પામીને સત્ય, પ્રેમ અને કરુણાના પાયા પર આધારિત અહિંસા અને મૈત્રી માટેના ‘પ્રેરણા દૂત’ તૈયાર કરવા માટેનું આ સાંસ્કૃતિક-સામાજિક – આધ્યાત્મિક કેન્દ્ર બની રહેશે. વ્યક્તિની આંતરિક જાગૃતિ અને વૈશ્વિક સંવાદિતા વચ્ચે સેતુ રુપ બનનાર આ કેન્દ્રમાં નિવાસી શિક્ષાર્થિ તરીકે લોકભારતી સણોસરામાં પ્રવેશ અપાશે.
આ અભ્યાસક્રમમાં અરજી પત્રક, પ્રવેશ પરીક્ષા, ઈન્ટરવ્યુ અને જુથ ચર્ચાના આધારે પ્રવેશ પાત્રતા નક્કી થશે. વિશ્વના કોઈ પણ દેશના ધર્મ, વિચાર ધારા, જ્ઞાતિ – જાતિ કે પ્રશિક્ષિત થનાર સાધકને પ્રશિક્ષિત કરવા માટેનું પ્રથમ સ્થાન પૂજ્ય બાપુની રામકથા રહેશે. તદુપરાંત, કૈલાસ ગુરુકુળ(મહુવા), ચિત્રકૂટ ધામ (તલગાજરડા), સાબરમતી ગાંધી આશ્રમ, પવનારનો વિનોબા આશ્રમ આદિ સ્થાનો પર જઇને સાધક RAAM ના અભ્યાસક્રમને આત્મસાત કરશે. સણોસરા સંસ્થામાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન, સંવાદ, પ્રશ્નોત્તરી દ્વારા શિક્ષાર્થિઓને કેળવણી પ્રાપ્ત થશે.
સણોસરા લોકભારતીના પ્રોફેસર વિશાલ ભદાણી દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું વ્યાસપીઠ સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. લોકભારતીના સંવાહક શ્રી અરુણભાઇ દવેએ સંક્ષેપમાં સમગ્ર પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ્ય, પોતાની સૌમ્ય મધુર ભાષામાં સ્પષ્ટ કર્યો. પૂજ્ય બાપુએ આ નવતર પ્રયોગ માટે પ્રસન્નતા વ્યક્ત કરી.
















