ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય ઊર્જાશક્તિનો સમન્વય થયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અક્ષય ઊર્જા- સ્વચ્છ ઊર્જાના ઉપયોગથી ગ્રીન ક્લીન એનર્જી માટે આપેલી પ્રેરણાને ગાંધીનગર સેક્ટર-૧ની ગાયત્રી શક્તિપીઠમાં ૧૬.૨૦ કે.વી.ની સોલાર પેનલ એક સ્વૈચ્છીક દાતાના આર્થિક સહયોગથી લગાવીને સાકાર કરવામાં આવી છે.
આ શક્તિપીઠમાં સોલાર રૂફટોપ તહેત લગાવવામાં આવેલી આ સોલાર સીસ્ટમનો પ્રારંભ ગાંધીનગર મ્યુનીસીપલ કમિશ્નર જે.બી. વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલના હસ્તે ગાયત્રી પરીવારજનો દ્વારા ગાયત્રી મંત્ર અને વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠના પાટોત્સવ અન્વયે શક્તિપીઠ ખાતે પંચ કુંડિય ગાયત્રી યજ્ઞ અને શક્તિપીઠમાં સ્થાપીત દેવ-દેવીઓના પૂજન અર્ચન સાથે આ સોલાર રૂફટોપ ઈન્સ્ટોલેશનનો કાર્યારંભ થયો હતો.
ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગરના પ્રમુખ રાજુભાઈ, મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રસિંહ બિહોલા અને ટ્રસ્ટી મંડળના સભ્યો તેમજ ગાંધીનગરમાં વસતા ગાયત્રી પરિવારના પરિજન ભાઈઓ-બહેનો આ અવસરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.