અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ચાચર ચોક ખાતે માતૃશક્તિ પોષણ કીટ અને શ્રી શક્તિ વધામણા કીટ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના દાંતા, હડાદ અને અમીરગઢ તાલુકાની સગર્ભા માતાઓ અને નવજાત દીકરીઓના આરોગ્યની જાળવણી માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ પ્રસંગે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ તાલુકાની બહેનો અને માતાઓને કીટનું વિતરણ કરીને આ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, દર મહિને કલેકટર કચેરી ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્યને લઈને નિયમિત બેઠક યોજાય છે જેમાં આ વિસ્તારની બહેનો અને માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે માટે નવતર અભિગમ અપનાવીને પોષણ કીટો તૈયાર કરાઈ છે. તેમણે જણાવ્યું કે, માતૃશક્તિ સર્વ જીવનનો આધાર છે તેના મંત્ર સાથે સગર્ભા માતાઓને પોષક તત્વોથી ભરપૂર ‘માતૃશક્તિ પોષણ કીટ’ અને નવજાત દીકરીઓને ‘શ્રી શક્તિ વધામણા કીટ’ તૈયાર કરાઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા માતાઓને પોષણ પૂરું પાડી તંદુરસ્ત બાળકનો જન્મ સુનિશ્ચિત કરવાનો અને નવજાત દીકરીઓના આરોગ્યની કાળજી રાખવાનો છે.
કલેકટરએ જણાવ્યું કે, આગામી ૧ એપ્રિલ ૨૦૨૬ થી લઈને ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી આદિજાતિ તાલુકાઓમાં ૧૨ હજાર સગર્ભા બહેનોને માતૃશક્તિ પોષણ કીટ અને ૬ હજાર બહેનોને શ્રી શક્તિ વધામણા કીટ અર્પણ કરાશે તે સુનિચ્ચિત કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કુલ ૧૮,૦૦૦ કીટ તૈયાર કરાશે જે આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરાશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું કે, દરેક વ્યક્તિને યોગ્ય પોષણ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આવનાર પેઢી મજબૂત બને અને સશક્ત રાષ્ટ્ર બને તથા કુપોષણ અટકાવવા સહિયારા પ્રયત્નો કરીએ તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માતૃશક્તિ પોષણ કીટમાં ઘઉંનો લોટ, શેકેલા ચણા, ગોળ, મગ, ઘી અને પ્રોટીન પાવડર જેવી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે શ્રી શક્તિ વધામણા કીટમાં નવજાત બાળકી માટે કપડાં, મોજાં, ટોપી, મચ્છરદાની, ગોદડી અને બેબી બાસ્કેટ જેવી ૧૫ થી વધુ જીવનજરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. આ તમામ કીટનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના દાંતા, અમીરગઢ અને હડાદ તાલુકા આરોગ્ય અધિકારીઓ મારફતે કરવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી સહિત બહોળી સંખ્યામાં આદિજાતિ સમાજની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
















