Latest

પવિત્ર યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે ૧૮૩ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવશે: સીએમ

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરી હતી

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ કામગીરીના થયેલા વિસ્તૃત પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રાજ્ય સરકાર પાવાગઢમાં માંચી ચોક ખાતે ૧૩ કરોડ રૂપિયાના વિકાસ કામો તેમજ પંચમહોત્સવ ઉજવાય છે તે સ્થળ વડા તળાવ બ્યૂટિફિકેશન સહિતની સુવિધા માટે ૮૦ કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરશે.

એટલું જ નહિ, ચાંપાનેરમાં હેરિટેજ સાઇટના વિકાસ માટે રૂ. ૩૩ કરોડના પ્રોજેક્ટસ પણ શરૂ થવાના છે. આમ સમગ્રતયા પાવાગઢ તીર્થક્ષેત્રના વિકાસના ફેઝ-૩ અને ફેઝ-૪ નો કુલ મળીને રૂ. ૧૮૩..૩પ કરોડનો ખર્ચ આવનારા દિવસોમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ પ્રોજેક્ટસના અમલીકરણ દ્વારા કરવાનું છે.

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, પ્રવાસન અગ્ર સચિવ શ્રી હારિત શુકલા તથા યાત્રાધામ વિકાસ બોર્ડના શ્રી રાવલ અને પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી મયાત્રા, વરિષ્ઠ અધિકારીઓ, પ્રોજેક્ટ કન્સલટન્ટસ વગેરે સહભાગી થયા હતા.

આ બેઠકમાં જણાવાયું હતું કે, પાવાગઢ ખાતે આવનારા નવયુવાઓ અને રમતપ્રેમી નાગરિકોના મનોરંજન માટે એડવેન્ચર એક્ટિવીટીઝ પણ હાથ ધરવામાં આવી રહિ છે અને આગામી તા.૧૧ ફેબ્રુઆરીથી તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને કલેકટર, પંચમહાલના સંયુકત સંકલનથી પાવાગઢ ખાતે હોટ એર બલુન, પેરાગ્લાઇડીંગ, રોક કલાઇમ્બિંગ, પેરાશૂટ, પેરા મોટરીંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગયા વર્ષે રૂ.૧૭૯.૦૦ કરોડના ખર્ચે ફોર લેન હાઇવે, માંચી ચોકથી મંદિર પરીસર સુધીના પગથીયાનું નવીનીકરણ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની સગવડ તથા સમગ્ર મંદિર પરીસરનું પુનઃનિર્માણ કરી યાત્રાળુઓની સુવિધાઓમાં અનેકગણો વધારો કર્યો છે.

તા. ૧૮ જૂન-૨૦૨૨ના દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે પાંચ શતક બાદ શ્રી મહાકાળી માતાજી મંદિરના નવનિર્મિત શિખર ઉપર ધ્વજારોહણ થયું હતું અને ત્યારબાદ પાવાગઢ યાત્રાધામ ખાતે યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૪ મહિનામાં જ ૫૦ લાખ કરતા વધુ યાત્રીકોએ પાવાગઢમાં મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

પાવાગઢ દર્શન માટે યાત્રીકોમાં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાના સંદર્ભમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસના કામો ઝડપથી આયોજનબદ્ધ રીતે હાથ ધરાય તે માટે પણ મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *