દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રાનું આજે વહેલી સવારે ૮:oo કલાકે ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસત્રોક્ત વિધિ બાદ કેન્દ્રિય રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયર શ્રી ભરતભાઇ બારડ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં રથનું પ્રસ્થાન કરાવાયું હતુ.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાત રાજ્યની બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનું આયોજન ભાવનગર જિલ્લામાં થઇ રહ્યું છે ત્યારે જગન્નાથજી ભગવાન, બલરામજી અને બહેન સુભદ્રાજીનો રથ નગરચર્ચા માટે રવાના થયો ત્યારે સમગ્ર નગરજનો દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. આ રથયાત્રા દરમિયાન અનેક અખાડાઓ, સ્વયંમસેવકો, સુરક્ષાદળોમાં એકતાના સુંદર દર્શન થાય છે ત્યારે આ શહેરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરી હતી.
“જય જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’” નાં ભક્તોનાં નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૭ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગર ખાતેના નિજ મંદિરેથી નિકળ્યાં હતા. શહેરના ભાવિક ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતા અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રાના પ્રારંભે માજી સૈનિકોએ સલામી આપીને પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ અવનવા પ્લોટસ રથયાત્રામાં જોડાયા હતા.
આ વખતે રથયાત્રામાં અનેકવિધ શણગારો જોવા મળ્યા છે. ગજરાજ, ઓપરેશન સિંદૂર, સાયકલ ક્લબનો ટેબ્લો, અકસ્માતના ફોટોગ્રાફ્સ અને ટ્રાફિકના નિયમો અને તાજી બનેલી ઘટનાઓ દર્શાવતા ટેબ્લોની સાથે રથયાત્રાના માર્ગ પર શ્રવણ યાત્રાનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
રથયાત્રામાં ચોક્કસ થીમ આધારિત ફ્લોટસનાં ટ્રકને રથયાત્રામાં જોડવામાં આવ્યાં છે. રથયાત્રા સાથે આરોગ્ય તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, પોલીસ, બી.એસ.એફ,સી.આર.પી.એફના જવાનો જોડાયાં હતાં. આ રથયાત્રામાં હાઈટેક સાધનો- ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.
આ રથયાત્રાનું સમગ્ર આયોજન શ્રી હરુભાઇ ગોંડલીયા અને રથયાત્રાના કાર્યકારી અધ્યક્ષ શ્રી પાર્થ ગાંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા સમગ્ર ભાવનગરમાં તેના નિર્ધારિત રૂટ પર ફરી રાત્રિનાં નિજ મંદિર પરત ફરશે.
આ રથયાત્રાનાં શુભારંભ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા, કલેક્ટરશ્રી ડૉ.મનિષકુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.કે.મીણા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, શ્રી દિવ્યેશભાઇ સોલંકી, સંતો- મહંતો, કોર્પોરેટરશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ સહિત ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.