સંત બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ આયોજન માટે આજે ગુરુઆશ્રમના બગદાણાના ગોપાલગ્રામના વિશાળ સંકુલ ખાતે સ્વયંસેવકોની બેઠક યોજાઈ હતી.
આગામી તા. 25/1/2027 (પોષ વદ ચોથ)ના રોજ સદગુરુ દેવ શ્રીબજરંગદાસ બાપાની પચાસમી મહાપરીનિર્વાણ પુણ્યતિથિ મહોત્સવ, અર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 108 કુંડી અતિ મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પંચ દિવસીય 108 કુંડિય અતિ મહાવિષ્ણુયાગ મહોત્સવની પૂર્વ તૈયારી અને પૂર્વ આયોજન તેમજ તૈયારીઓ અંગે એક અગત્યની બેઠકનું આજરોજ થયું હતું.
જેમાં વિશાળ સંખ્યામાં ગુરુઆશ્રમ બગદાણાના સ્વયંસેવકો જોડાયા હતા. ગુરુ આશ્રમ બગદાણા ખાતે રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા અને આશરે છેલ્લા 50 વર્ષથી સમર્પણ સાથે સેવા આપતા સ્વયંસેવકોને અહીંથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .ઉલ્લેખનીય છે કે બગદાણા ખાતે નિયમિત રીતે સેવા આપતા એવા 464 ભાઈઓના મંડળો તેમજ 880 બહેનોના મંડળો હાલ કાર્યરત છે.
આજની સભામાં યોગેશભાઈ સાગર એ મહા વિષ્ણુયાગની અને પાંચ દિવસના આ મહોત્સવની વિગતો આપી હતી. ટ્રસ્ટી શ્રીઓ ધીરુભાઈ બાબરીયા, શ્રી રણજીતસિંહ ગોહિલ, શ્રી વિનોદભાઈ ગુજરાતી, શ્રી નિલેશભાઈ ડોડીયા હાજર હતા.
લોકસાહિત્યકાર મેરાણભાઈ ગઢવી તેમજ ગાયક બીપીનભાઈ સઠીયા એ પ્રારંભે બાપા અને ગુરુ આશ્રમનું મહિમા ગાન કર્યું હતું. કરણાભાઈ ભમ્મર ,માર્કંડભાઇ પંડ્યા તેમજ ગુરુ આશ્રમના મેનેજર સુરુભા ગોહિલ તેમજ દિનેશભાઈ સહિતના આજના કાર્યક્રમ માટે સંકલનમાં રહ્યા હતા.
ઉપરાંત આગામી માસે તા.29/7/2026 અને બુધવારના રોજ મહિમાપૂર્ણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવાનું આયોજન હોય, સર્વ સ્વયંસેવકોને આ દિવસ નિમિત્તે કરવાની થતી કામગીરીની વહેચણી સાથેની વિગતો પણ આપવામાં આવી હતી.
















