પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. અભિયાનના પ્રથમ જ દિવસે મંડળે 3,569 બાળકોને ઓરલ પોલિયો વેક્સિન (OPV)ની ખુરાક પિવડાવી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં સર્વાધિક રસીકરણ કરવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે.
28 જૂન, 2026થી શરૂ થયેલા આ રાષ્ટ્રીય અભિયાનનું સંચાલન મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. મનોજ કુમારની દેખરેખમાં કરવામાં આવ્યું હતું. અભિયાનને વધુ અસરકારક અને વ્યાપક બનાવવા માટે મંડલીય રેલવે હોસ્પિટલ, 10 આરોગ્ય એકમો તેમજ રેલવે સ્ટેશનો, ટ્રેનો અને સમગ્ર મંડળમાં કુલ 52 પલ્સ પોલિયો રસીકરણ બૂથ સ્થાપવામાં આવ્યા હતા, જેથી વધુમાં વધુ બાળકો સુધી સરળ અને ઝડપી રીતે પહોંચ સુનિશ્ચિત કરી શકાય.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે સુવ્યવસ્થિત આયોજન, સમર્પિત કાર્યપદ્ધતિ અને ચિકિત્સા વિભાગની સક્રિય ભાગીદારીના પરિણામે અભિયાનના પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિયોની રસીની ખુરાક પિવડાવવામાં આવી હતી. આ સિદ્ધિથી ભાવનગર મંડળે પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
બૂથ આધારિત રસીકરણ બાદ 29 અને 30 જૂને વિશેષ અનુવર્તી અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં તબીબી ટીમોએ મંડળની તમામ રેલવે કોલોનીઓમાં ઘર-ઘર જઈ સર્વેક્ષણ કર્યું. આ દરમિયાન પ્રથમ દિવસે કોઈ કારણસર રસીકરણથી વંચિત રહેલા બાળકોની ઓળખ કરીને તેમને પણ પોલિયોની ખુરાક પિવડાવવામાં આવી. આ અભિયાનનો મુખ્ય હેતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના દરેક પાત્ર બાળક સુધી પોલિયો વિરોધી રસી પહોંચાડવાનો હતો.
આ નોંધપાત્ર સિદ્ધિ ચિકિત્સા વિભાગના અસરકારક આયોજન, તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સ્વયંસેવકોની અથાગ મહેનત તેમજ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોના સક્રિય સહયોગનું પરિણામ છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ જણાવ્યું કે ભાવનગર મંડળનો ચિકિત્સા વિભાગ દરેક બાળકને પોલિયો જેવી ગંભીર અને કાયમી અપંગતા સર્જી શકતી બીમારીથી સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યો છે. આ સિદ્ધિ ભારત સરકારના ‘પોલિયો મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મહત્વપૂર્ણ અને પ્રશંસનીય યોગદાનને પણ ઉજાગર કરે છે.
















