શૈક્ષણિક મંચની નવમી સંગોષ્ઠિ ફોરમ એવોર્ડ અને અધ્યાત્મ સંવાદ સાથે સંપન્ન
ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ હવે શિક્ષણની એક અલગ પરિપાટી ધરાવતી શૈક્ષણિક સંસ્થા તરીકેનો વિશ્વાસ મજબૂત કરી રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી થઈ રહેલાં વિભિન્ન વિવિધ પ્રકલ્પોમાં શિક્ષકોને પ્રોત્સાહન,ગુણવત્તા સુધાર અને સંવાદથી શ્રેષ્ઠતાની સફર જેવા હેતુઓ લઈને આ સંસ્થા કાર્યરત છે.
દર છ મહિને યોજાતી શૈક્ષણિક સંગોષ્ઠિનો નવમો મણકો આદિજાતિ વિસ્તારમાં તેની સંવેદનાને સ્પર્શવા ધરમપુરના ઊંડાણના ચાસ માંડવા ગામમાં યોજાઈ ગયો. ગુજરાતભરના વિવિધ જિલ્લાઓના સમર્પિત શિક્ષણ સાધકો અનેક આવાગમનની સમસ્યાઓ હોવા છતાં પહોંચ્યા ત્યાં હતા.
તારીખ 20 ના રોજ શ્રી મહેશભાઈ ટંડેલના નેતૃત્વમાં કંરજવેરી પ્રાથમિક શિક્ષણ વિદ્યાલયની મુલાકાત કરીને એ સંસ્થાના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.21 માર્ચના રોજ સવારે પક્ષીવિદ શ્રી પરેશભાઈ રાવલ સાથે સૌએ પક્ષી દર્શન કર્યું હતું.ત્યાર પછી સવારના ઉદ્ઘાટન સત્ર અને સ્વ. આલાબાપુ સાંડસુર ફોરમ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર કાર્યક્રમને સંબોધિત કરતા જાણીતા ભાગવતાચાર્ય પૂ. પંકજભાઈ વ્યાસે કહ્યું કે કોઈપણ સાધના પછી તે કર્મ સાધના હોય તો પણ ભલે અને અન્ય કોઈ માર્ગ હોય તો પણ ભલે તેમાં સિદ્ધિ મેળવવા દરેક વ્યક્તિએ સ્થાન, સમય અને હેતુને મહત્વ આપવું જોઈએ.અહીં પુરસ્કાર પામેલા પાંચ મહાનુભાવો આ સિદ્ધિ સુધી પહોંચ્યા છે તેથી આજે આપણે તેની આરતી ઉતારી છે.શ્રી શ્યામજીભાઈ દેસાઈના પુસ્તક ‘અધ્યાત્મ અને શિક્ષણ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજે વિવિધ એવોર્ડ એનાયત થયાં જેમાં માંગરોળ જૂનાગઢના સમર્પિત અધ્યાપક કે જેમણે 40 વર્ષ સુધી શિક્ષણના ક્ષેત્રમાં અને સેવાના ક્ષેત્રમાં પોતાની જાતને આહુત કરી છે તેવા શ્રી પ્રશાંતભાઈ ચ્હાવાલાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ થયો.જોડિયાની માધ્યમિક કન્યા વિદ્યાલયમાં કાર્યરત શ્રી મમતાબેન જોશી વીરનગરની પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દેવકુબેન બોરીચા તથા સારસા ખેડાના શ્રી કિરીટભાઈ ચૌહાણ અને ભાવનગર પરવડીના શ્રી પરેશભાઈ હીરાણીને સ્વ આલાબાપુ સાંડસુર ફોરમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જેમાં રોકડ રકમ, સૂત્ર માલા,પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરવામાં આવ્યા હતાં.વ્યાસ સત્રમાં “મહાભારતની પાત્રસૃષ્ટિ અને મૂલ્ય શિક્ષણ” એ વિષય ઉપર પ્રા.કુમાર જૈમિનિ શાસ્ત્રીએ વ્યાખ્યાન આપ્યું હતું.
બપોર બાદ યોજાયેલા વાલ્મિકી સત્રમાં મોટાપોન્ડા કોલેજના અધ્યાપક ડોક્ટર આશા ગોહિલે અધ્યાત્મ શિક્ષણ અને કર્મ એ વિષય પર અને પ્રજ્ઞેશભાઈ રાઠોડ એ “અધ્યાત્મ અને વિજ્ઞાન”એ વિષય પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.
શિક્ષણ સંસ્થાઓની પરિક્રમા કરવાનો પણ ઉપક્રમ આ માધ્યમથી રહ્યો છે. જેમાં આ સ્થળથી મહારાષ્ટ્ર માત્ર સાત કિલોમીટર દૂર છે પરંતુ તેનાથી બીજા સાત કિલોમીટર દૂર નામના મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ગુહુ ગામની અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલયની મુલાકાત યોજવામાં આવી હતી.
વનવાસી કલ્યાણ સમિતિના માધ્યમથી સંચાલિત આ સંસ્થા અતિ જરૂરિયાતમંદ એવા બાળકો માટે સંજીવની રૂપ કામ કરી રહી છે. પહેલા બીજા ધોરણમાં ભણતી બાળકીઓ છાત્રાલયમાં રહેતી જોઈને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું. વિદ્યાર્થી સભા અને શિક્ષક સભાનું આયોજન તેના પ્રધાનાચાર્ય શ્રી સુનિલ ગાવીત દ્વારા થયું હતું.
રાત્રી બેઠકમાં બગસરાના પૂ હંસ ગીરી બાપુએ અધ્યાત્મ અને જીવન પર સુંદર વાતો કરી હતી. 22 ની સવારની તુલસી સત્ર બેઠકમાં ‘માનસ: માનવ સર્જનનું મેનેજમેન્ટ’ વિષય પર રામચરિત માનસની ઉપયોગીતા શ્રી તખુભાઈ સાંડસુર દ્વારા સિદ્ધ કરવામાં આવી હતી.
ભગવદ્ ગીતા અને શિક્ષણ પર જાણીતા પ્રેરક પ્રવક્તા ડો. ધર્મેન્દ્ર કનાલાએ સુંદર રજૂઆત કરી હતી. વિવિધ સત્રોના સંચાલક તરીકે લોકસાહિત્યકાર શ્રી ભગવદ્ દાન ગઢવી, શ્રી વિમલભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ અને સુશ્રી દીપીકાબેન વાણીયાએ જવાબદારી ઉઠાવી હતી.
બે દિવસની સંગોષ્ઠિની આભાર વિધિ શ્રી શ્યામજીભાઈ દેસાઈએ કરી હતી.સ્થાનિક આયોજન પત્રકાર, શિક્ષણવિદ શ્રી મહેશભાઈ ટંડેલ કરી રહ્યા હતાં.સમગ્ર આયોજન સંકલન અને વ્યવસ્થા શ્રી તખુભાઈ સાંડસુરે કરી હતી.કાર્યક્રમ સંયોજક શ્રી હરેશભાઈ સોડવડીયા તથા લીલાબેન ઠાકરડાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની જવાબદારીઓ ઉઠાવી હતી.આશ્રમ સંચાલકો શ્રી પિયુષભાઈ ધાનાણી તથા પૂ દેવ સ્વામી પણ વ્યવસ્થામાં સહભાગી હતાં.
















