જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણકુમાર માળી સાસણગીર ખાતે સમિટમાં પ્રત્યક્ષ સહભાગી રહ્યા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી 1 અને 2 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ યોજાશે. તેના પૂર્વાર્ધરૂપે સાસણગીરમાં “લાયન કન્ઝર્વેશન” વિષયક પ્રિ-ઇવેન્ટ યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, એશિયાટિક લાયનના જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતે સફળ મોડલ ઉભું કર્યું છે. સિંહોની વસ્તી 1991માં 284 હતી જે આજે વધીને 891 સુધી પહોંચી છે, જ્યારે વિચરણ વિસ્તાર 3 જિલ્લાઓમાંથી વધીને 11 જિલ્લાઓ સુધી વિસ્તર્યો છે.
તેમણે ઉમેર્યું કે, “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્ર સાથે પ્રોજેક્ટ લાયન દ્વારા સિંહ સંરક્ષણ, બ્રિડિંગ સેન્ટર, સારવાર કેન્દ્ર, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, IBCA સમિટ વિશ્વના 55 દેશોને એક મંચ પર લાવી બિગ કેટ સંરક્ષણ માટે “દિલ્હી ડેકલેરેશન” જાહેર કરશે. વિશ્વની 7 બિગ કેટ પ્રજાતિઓમાંથી 5 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જે દેશ માટે ગૌરવની બાબત છે.
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં સિંહ અને દીપડા ઉપરાંત હવે વાઘના કાયમી વસવાટ માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે. બરડા અભ્યારણ્ય એશિયાટિક લાયનનું બીજું રહેઠાણ બની રહ્યું છે.
આ પ્રસંગે સાસણની વન્યજીવ સૃષ્ટિ અને સંવર્ધન અંગેના બ્રોશરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
















