Latest

હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલાવી દંડ ફટકાર્યો

કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની સતર્કતાને કારણે કિમ નજીક નેશનલ હાઇવે 48 પર એક મોટી હોનારત ટળી છે. હાઈવે પર કોઈ પણ પ્રકારની આડશ (બેરિકેડ) વગર જોખમી રીતે ઊભેલી ટ્રકના ચાલકને મંત્રીએ જાતે ઊભા રહીને માત્ર ટોક્યો જ નહીં, પરંતુ તાત્કાલિક પોલીસ કાફલો બોલાવી દંડ પણ ફટકાર્યો હતો.

મળતી વિગતો મુજબ, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા કિમ નજીક નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન તેમનું ધ્યાન રોડ પર જોખમી રીતે ઊભેલી એક ટ્રક પર ગયું હતું. તેમણે તાત્કાલિક પોતાની કાર અટકાવીને તપાસ કરી તો જાણવા મળ્યું કે ટ્રકનું ટાયર ફાટી ગયુ હતું.

ટ્રક ચાલકે હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર વાહન પાછળ કોઈ પણ પ્રકારનું રિફ્લેક્ટર, આડશ કે ચેતવણીનું બોર્ડ મૂક્યું ન હતું. નેશનલ હાઇવે 48 પર વાહનોની ગતિ ખૂબ વધારે હોવાથી પાછળથી આવતા અન્ય વાહનો આ ટ્રક સાથે ભટકાય અને મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના હતી.

આ ગંભીર બેદરકારી જોઈને મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સમય સૂચકતા વાપરી તુરંત જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને સુરત જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી.

પોલીસે તાત્કાલિક ટ્રકની પાછળ સુરક્ષિત આડશ (બેરિકેડિંગ) મુકાવ્યું જેથી પાછળથી આવતા વાહનો એલર્ટ થઈ જાય, તેમજ ટ્રાફિક પોલીસે હાઈવે પર અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકવા બદલ ટ્રક ચાલકને સ્થળ પર જ કાયદેસરનો દંડ ફટકાર્યો હતો અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા કડક સૂચના આપી હતી.

આ ઘટના બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ તમામ વાહનચાલકોને જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, અગાઉ આ પ્રકારની બેદરકારી થી ઘણા અકસ્માતો થઈ ચૂક્યા છે,નિર્દોષ લોકોના મોત પણ થયા છે જેથી “જ્યારે પણ હાઈવે કે એક્સપ્રેસ-વે પર તમારા વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય, ટાયર ફાટે કે અકસ્માત થાય,

ત્યારે વાહનની પાછળ અચૂક આડશ કે રિફ્લેક્ટર મૂકો. જેથી અન્ય ચાલકો બચી શકે. આ સાથે જ આવી સ્થિતિમાં તાત્કાલિક NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી) અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ, જેથી સમયસર મદદ મળી રહે અને મોટી દુર્ઘટના નિવારી શકાય.”

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પણ અપીલ કરાઇ છે કે એક્સપ્રેસ વે કે NH 48 પર કોઈએ પણ નિયત કરેલ પોઈન્ટ સિવાય ઊભા ના રહેવું,જો કોઈ બેદરકારી દાખવશે તો કાર્યવાહી કરવામાં આવશે, હાઈવે ઉપર અકસ્માત કે વાહન ખોટકાઈ એટલે તુરત પોલીસ અને NHAI ને જાણ કરવી જેથી અકસ્માત થતા રોકી શકાય

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *