Latest

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ: રૂ. ૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ કમિશનર, નડિયાદ કચેરીની ટીમ દ્વારા એક સઘન દરોડો પાડી બિનઅધિકૃત દવા ઉત્પાદનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

મળેલી ચોક્કસ બાતમીના આધારે નડિયાદ વિભાગના પ્રવર ઔષધ નિરીક્ષક કુ. ભૂમિ વી. પટેલ તથા ઔષધ નિરીક્ષક શ્રી વિશાલ આર. રૂપાપરા દ્વારા તા. ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ધોળીકૂઈ (તા. કપડવંજ) ખાતે આવેલા “ડોક્ટર સોની, બાવીશી વાળાનું દવાખાનું” પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસમાં સ્થળ પરથી આશરે ૧૦૦ મિ.લી. ક્ષમતાની પારદર્શક પ્લાસ્ટિકની બોટલોમાં લાલ રંગનું પ્રવાહી ભરેલી ૧૬૦ બોટલો (કોઈપણ પ્રકારના લેબલ વિના) વેચાણ અર્થે સંગ્રહ કરેલી મળી હતી.

સ્થળ પરથી “રતવાની દવા” દર્શાવતા લેબલ, આશરે ૧,૦૦૦ ખાલી બોટલો, તેમજ વિટામિન B-Complex દવાની ૪.૫ લીટર ક્ષમતા ધરાવતા ૯૨ ભરેલા પ્લાસ્ટિક કન્ટેનર તથા વપરાયેલા ખાલી કન્ટેનર જપ્ત કરાયા હતા. આમ કુલ રૂ. ૬૬,૪૦૦/- ની કિંમતનો સમગ્ર જથ્થો કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો છે.

દવાખાનાના જવાબદાર વ્યક્તિ ડો સોની (B.H.M.S.) છેલ્લા પાંચ વર્ષથી આ દવાખાનું ચલાવે છે. તેઓ અમદાવાદની પેઢી ‘પરેશ ટ્રેડીંગ કોર્પોરેશન’ પાસેથી Vitamin-B Complex (“ENGE PLEX” – Mfg. by M/s. Euphoria Pharmaceuticals, Mumbai) નો ૪.૫ લીટરની દવા ખરીદતા હતા. આ પ્રવાહી દવાને તેઓ પોતાના દવાખાનામાં જ ૧૦૦ મિ.લી.ની બોટલોમાં રીપેક કરી, પોતાનું લેબલ લગાવીને દર્દીઓને બોટલ દીઠ રૂ. ૮૦/- ના ભાવે વેચતા હતા.

આ પ્રવાહી દવાના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદન પરવાનો કે પ્રોડક્ટ પરમિશન ઉપલબ્ધ નહોતી. બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર કે વેચાણ બિલ/કેશમેમો જેવા કોઈ દસ્તાવેજો રાખવામાં આવતા નહોતા. બોટલ પર દવાનું નામ, સરનામું, કમ્પોઝિશન, બેચ નંબર, ઉત્પાદન તારીખ, એક્સપાયરી ડેટ કે લાયસન્સ નંબર જેવી કાયદાકીય માહિતી દર્શાવવામાં આવતી નહોતી. સ્થળ પરથી શંકાસ્પદ દવાના સેમ્પલ લઈ નિયમાનુસાર પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના ટેસ્ટ રિપોર્ટ અને તપાસના આધારે Drugs and Cosmetics Act, 1940 તથા Drugs and Cosmetics Rules, 1945 ની જોગવાઈઓ હેઠળ આકરામાં આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નિષ્ણાત પિડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) ની સલાહ સિવાય ૬ માસથી નાના બાળકોને માતાના દૂધ સિવાય ઉપરનો કોઈપણ ખોરાક, દવા કે પ્રવાહી આપવું બાળકના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી બની શકે છે. નાગરિકોને માત્ર પ્રમાણિત અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જાહેર જનતાને અપીલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 140

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *