Education

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

ગઢડા : સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો ભવ્ય પ્રારંભ સંસ્કૃત ગૌરવયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર જ્ઞાનના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહાવિદ્યાલયના આચાર્યશ્રી, મામલતદારશ્રી, સંજયભાઈ ચૌધરી, ડૉ. જીજ્ઞાબા રાણા, ડૉ. ઈશ્વરભાઈ સુતરીયા, ડૉ. રિન્કુબેન વાઢેર, ડૉ. એ. ડી. લાણિયા, ડૉ. વિમળાબેન ચૌધરી, કાનાણી મહોદયશ્રી, મનીષભાઈ રાજગુરુ, છાયાબેન, બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી, શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહી ગૌરવયાત્રાનો શુભ આરંભ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ‘शिवपुराणे ज्ञान-भक्ति-वैराग्यम्’ પુસ્તકના લેખક ડૉ. વિમળાબેન ચૌધરીને તેમના સાહિત્યિક અને સંસ્કૃત ક્ષેત્રે યોગદાન બદલ મામલતદારશ્રીના હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંસ્કૃત ગૌરવયાત્રામાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય ઉપરાંત એમ. એમ. હાઈસ્કૂલ, ક. ર. વિ. ગો. વિદ્યાલય તથા ડી.એલ.એડ. કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એમ. એમ. હાઈસ્કૂલ દ્વારા શ્રીરામ-લક્ષ્મણ, શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર જેવા ભારતીય સંસ્કૃતિના મહાન પાત્રોને રજૂ કરતો સુંદર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો.

ગૌરવયાત્રા દરમિયાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા “जयतु जयतु संस्कृतभाषा”, “वदतु वदतु संस्कृतभाषा” જેવા સંસ્કૃતમય સૂત્રોના ઉદ્ઘોષથી સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. ડૉ. વિમળાબેન ચૌધરી તથા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંસ્કૃત ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. હિંમતભાઈ સેંજલિયા તથા IQAC કો-ઓર્ડિનેટરશ્રી ડૉ. રાજેશભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્કૃત ગૌરવયાત્રામાં મહાવિદ્યાલયના તમામ અધ્યાપકશ્રીઓ, મુલાકાતી વ્યાખ્યાતાઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌના ઉત્સાહપૂર્ણ સહભાગિતાથી સંસ્કૃત ગૌરવયાત્રા ભવ્ય અને સફળ બની હતી તથા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ પ્રબળ બની હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *