અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વડોદરામાં તૈયાર થયેલ સરદારધામ ભવન-૩ નું ભવ્ય લોકાર્પણ ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉપરાંત તેઓને સરદાર રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવશે.
વડોદરા ખાતે નિર્માણ પામેલા નવનિર્મિત ‘સરદારધામ ભવન-૩’ નું લોકાર્પણ આગામી ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે કરવામાં આવશે. આ ભવન પાટીદાર સમાજ અને રાજ્યના યુવાનોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
અહીં લોકાર્પણ અભિવાદન અને સન્માનનો સમન્વય જોવા મળશે. વડોદરા ખાતે આ સંકુલના લોકાર્પણને લઈ અમદાવાદ સરદારધામ ખાતે પત્રકારોને વિશેષ માહિતી આપવામાં આવી હતી જેમાં ગોરધન ભાઈ ઝડફિયા, લોકાર્પણ ઇન્ચાર્જ વડોદરા, ગાગાજી સુતરિયા પ્રમુખ સેવક, દુષ્યંત પટેલ ઉપપ્રમુખ વડોદરા ઝોન અને નટુભાઈ પટેલ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવનની વિશેષતાની વાત કરીએ તો તે આશરે 150 કરોડના ખર્ચે તૈયાર થયેલું છે તેનું કુલ બાંધકામ ૪ લાખ ૭૫ હજાર સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલું છે.ભવનમાં ૨૭૮ રૂમની આધુનિક વ્યવસ્થા, ટ્રસ્ટીઓ તેમજ એનઆરઆઈ (NRI) અતિથિઓ માટે અદ્યતન અતિથિ ભવન અને ૧ હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો વિશાળ હોલ ઉપલબ્ધ છે.
જે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સુખદરૂપ વ્યવસ્થા કહી શકાય. આ લોકાર્પણ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાટીદાર સંસ્થાના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. આ કેન્દ્ર યુવાનોને રોજગારી અને સક્ષમ કારકિર્દી તરફ આગળ વધારવામાં મદદરૂપ બનશે.
















