પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી દિનેશ વર્માએ શનિવાર, તા. 09 મે, 2026ના રોજ ગાંધીગ્રામ સ્ટેશનથી ભાવનગર સ્ટેશન સુધી વિગતવાર વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે ગાંધીગ્રામ, બાવળા, લોથલ ભુરખી અને બોટાદ સ્ટેશનોનું સંરક્ષા, સંચાલન અને યાત્રી સુવિધાઓના દૃષ્ટિકોણથી સઘન નિરીક્ષણ કર્યું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે નિરીક્ષણ દરમિયાન શ્રી વર્માએ ગાંધીગ્રામ–સરખેજ સેક્શનમાં પ્રગતિ હેઠળના ડબલિંગ કાર્યનું વિશેષ નિરીક્ષણ કર્યું. તેમણે બાંધકામ કાર્યોની ગુણવત્તા, નિર્ધારિત સુરક્ષા ધોરણોના પાલન તથા કાર્યની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને સમયબદ્ધ તથા ગુણવત્તાસભર અમલીકરણ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી.
આ ઉપરાંત, મંડળ રેલ પ્રબંધકે સેક્શનમાં ચાલી રહેલા વિવિધ બાંધકામ કાર્યો, પાટા માળખું, સિગ્નલ અને દૂરસંચાર વ્યવસ્થાઓ તેમજ અન્ય રેલવે આધારભૂત સુવિધાઓનું પણ સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. તેમણે રેલવે સંપત્તિના જતન અને સંરક્ષા ધોરણો પ્રત્યે વિશેષ સતર્કતા રાખવા પર ભાર મૂક્યો.
શ્રી વર્માએ યાત્રિયોને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ જેવી કે સ્ટેશન પરિસરની સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રતીક્ષાલય, પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સુવિધાઓ તથા મુસાફર સુરક્ષા વ્યવસ્થાઓનું અવલોકન કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓને મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
મંડળ રેલ પ્રબંધકે અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે રેલવે સંચાલનમાં સંરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સંરક્ષા ધોરણોનું શત-પ્રતિશત પાલન સુનિશ્ચિત કરવું દરેક કર્મચારીની સામૂહિક જવાબદારી છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ઉચ્ચ સ્તરની સતર્કતા, સમન્વય અને કાર્યકુશળતા સાથે પોતાની ફરજો નિભાવવાનો આહ્વાન કર્યો.
આ નિરીક્ષણ દરમિયાન મંડળના વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
















