bhavnagar

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો
વિધાર્થિનીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ઇનર વ્હીલ ક્લબ ઑફ ભાવનગર, ડિસ્ટ્રિક્ટ 306 દ્વારા ગાંધી મહિલા કોલેજ, ભાવનગર ખાતે “સ્નેહીજન” વિષય પર વિશેષ માનસિક સ્વાસ્થ્ય અને દીકરીઓની વિભિન્ન સમસ્યાઓ માર્ગદર્શન અને નિવારણના ઉપાયો માટેના અત્યંત ઉપયોગી અને આવશ્યક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 18 ઑગસ્ટ, 2026 ના રોજ બપોરે 12:00થી 1:30 કલાક સુધી પ્રાર્થના હોલ, રૂમ નં. 19 ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કૉલેજની ૩૦૦થી વધુ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે ગાંધી મહિલા કોલેજના આચાર્યશ્રી ડૉ. બલભદ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત મહાનુભાવો ઇનર વ્હીલ ક્લબ ઑફ ભાવનગર, ડિસ્ટ્રિક્ટ 306નાં ક્લબ પ્રમુખ જિગીષાબેન મસરાણી, ક્લબ સેક્રેટરી નીરાબેન શેઠ તેમજ હોમ ક્લબના પ્રોજેક્ટ ચેર ડૉ. રાજેશ્રીબેન બોસમિયા તથા અન્ય હોદ્દેદારો અને સભ્યોનું શાબ્દિક તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કર્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રાજેશ્રીબેન બોસમિયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે વિદ્યાર્થિનીઓને માનસિક સ્વાસ્થ્ય, મનમાં ઉદભવતા પ્રશ્નો, ચિંતા, મૂંઝવણ, સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ તથા જીવનમાં આવતી વિવિધ માનસિક પરિસ્થિતિઓ અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન સાથે પ્રશ્નોત્તરીના માધ્યમથી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમસ્યાઓનાં સમાધાન માટેના ઉપાયોનું રસપ્રદ નિદર્શન આપ્યું હતું.

ડૉ. રાજેશ્રીબેને જણાવ્યું હતું કે આજના ઝડપી અને સ્પર્ધાત્મક જીવનમાં યુવાનો અનેક પ્રકારના માનસિક દબાણનો સામનો કરે છે. પોતાના મનની વાત યોગ્ય વ્યક્તિ સાથે વ્યક્ત કરવી, સમસ્યાઓને અંદર જ દબાવી ન રાખવી, સકારાત્મક વિચારસરણી કેળવવી અને જરૂરિયાત હોય ત્યારે નિષ્ણાતની સલાહ લેવી માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થિનીઓને પોતાના વિચારો અને લાગણીઓને સમજવા તથા જીવનમાં સંતુલન જાળવવા માટે વિવિધ ઉપયોગી સૂચનો આપ્યાં હતાં.

ડૉ. રાજેશ્રીબેન બોસમિયા તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમણે બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદમાંથી તબીબી શિક્ષણ મેળવ્યું છે અને સરકારી આરોગ્ય ક્ષેત્રમાં આશરે 20 વર્ષ સુધી ડૉક્ટર તરીકે સેવા આપી છે. મલેશિયામાં પણ તેમણે સાત વર્ષ સુધી તબીબ તરીકે સેવા આપી છે. તબીબી સેવા ઉપરાંત તેઓ સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે. તેઓ ઇનર વ્હીલ સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને મહિલાઓના આરોગ્ય તથા માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં માર્ગદર્શન આપી રહ્યાં છે. તેઓ કવિ અને લેખક તરીકે પણ જાણીતા છે તથા આરોગ્ય અને સાંપ્રત વિષયો પર લેખન કરે છે.

કાર્યક્રમના આયોજનમાં ઇનર વ્હીલ ક્લબ ઑફ ભાવનગર, ડિસ્ટ્રિક્ટ 306નાં ક્લબ પ્રમુખ જિગીષાબેન મસરાણી, ક્લબ સેક્રેટરી નીરાબેન શેઠ તેમજ હોમ ક્લબના પ્રોજેક્ટ ચેર ડૉ. રાજેશ્રીબેન બોસમિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

કાર્યક્રમના સંયોજક ડૉ. જે.પી. મજમુદાર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, શ્રીમતી આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળએ સમગ્ર આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારમાં વિદ્યાર્થિનીઓએ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને મુખ્ય વક્તા સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓમાં “માનસિક સ્વાસ્થ્ય પણ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે” તે અંગે જાગૃતિ કેળવવાનો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અશોક પુરોહિતએ સુવ્યવસ્થિત રીતે કર્યું હતું, જ્યારે આભારવિધિ પ્રા.રંજનબેન ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

આ સેમિનાર વિદ્યાર્થિનીઓ માટે જ્ઞાનવર્ધક, ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહ્યો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થિનીઓને પોતાના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા, પોતાની લાગણીઓને સમજવા તથા જીવનમાં સકારાત્મક અભિગમ સાથે આગળ વધવા માટે પ્રેરણા મળી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ ભાવ - શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *