છેલ્લા કેટલાક મહિનાઓથી રજુઆત છતાં કામગીરી ન થતા નગરપાલિકા ને અલ્ટીમેટમ આપ્યું
જો નિયત સમયમાં કામગીરી નહી કરવામાં આવે તો સ્વખર્ચે કામ કરી તે સ્થળે નગરપાલિકા વિરુદ્ધ તકતી મારવાની કરી જાહેરાત
સિહોર નગરપાલિકા માં સત્તાધીશોની કામ કરવાની પદ્ધતિ અવાર નવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. અગાઉ પણ વિપક્ષનેતા દ્વારા નગરપાલિકા ની કામગીરીમાં સત્તાધીશો દ્વારા વ્હાલા દવલા ની નીતિ રાખીને કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કમિશ્નર ને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
સિહોર નગરપાલિકા ના વોર્ડ નંબર ચાર સ્ટેશન રોડ વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર નવ શિવમ સીટી વિસ્તારમાં પાણીના જોઈન્ટ આપવા મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કામગીરી ન કરવામાં આવતા આજરોજ વિપક્ષનેતા એ નગરપાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઈ રૂબરૂમાં લેખિત ફરિયાદ આપી રજુઆત કરી હતી અને આ સત્તાધિશો દ્વારા જાણી જોઈને કેટલાક કામો વિલંબમાં નખાતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ સાથે વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ પાણી બતાવતા સ્પષ્ટ શબ્દોમાં લેખિતમાં જણાવ્યું હતું કે આ અંતિમ વખત લેખિત રજૂઆત છે જો હવે નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂરી નહીં થાય તો તેમના પોતાના સ્વખર્ચે આ કામ પૂરું કરી લોકોના પ્રશ્ન હલ કરવામાં આવશે અને સાથે સાથે એ સ્થળે શિહોર નગરપાલિકા વિરુદ્ધ નગરપાલિકામાં પાણી નથી પરંતુ વિપક્ષ પાણીદાર હોય તેમના દ્વારા આ કામગીરી કરવામાં આવી છે એ મુજબની તકતી મારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આમ જો શિહોર નગરપાલિકાને નાલેશિ અને બદનામીથી બચવું હોય તો નિયત સમયમાં આ કામગીરી પૂરી કરવી અન્યથા બદનામી માટે સત્તાધીશો એ તૈયાર રહેવા વિપક્ષ નેતાએ સ્પષ્ટ રીતે લેખિતમાં ચીમકી ઉચ્ચારી હતી. આમ પાણીના મુદ્દે નગરપાલિકા પાણી રહીત જોવા મળતા વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી દ્વારા પાણી બતાવવામાં આવ્યું હતું.
















