પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો જીવ સ્ટેશન પર તૈનાત સતર્ક પોઈન્ટ્સમેને પોતાની ઝડપી કાર્યવાહીથી બચાવ્યો.
આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની હતી, પરંતુ પોઈન્ટ્સમેને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત દોડી તેને ખેંચી લીધી અને સલામત રીતે પ્લેટફોર્મ પર લઈ આવ્યો. આ ફૂર્તિલા અને સાહસિક બચાવ કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે યુવતી ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી, એ દરમિયાન તેનું સંતુલન બગડ્યું. ઘટનાસ્થળે હાજર પોઈન્ટ્સમેન શ્રી રાજકુમારે પોતાની સતર્કતા, ફૂર્તિ અને સમજદારી દાખવી તાત્કાલિક કાર્યવાહી કરી, જેના પરિણામે એક સંભવિત મોટો અકસ્માત ટળી ગયો.
આ ઘટના ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને પ્લેટફોર્મ પર હાજર લોકોએ અચંબામાં જોઈ. આ ઘટના ચાલતી ટ્રેનોમાં ચઢવા કે ઉતરવાના સમયે થતા જોખમોને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. રેલવે સ્ટેશનો પર ઘણી વખત આવી બેદરકારીને કારણે અકસ્માતો સર્જાય છે, જ્યારે મુસાફરો ટ્રેન સંપૂર્ણ રીતે અટકે તે પહેલાં ઉતરવાનો અથવા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે.
ઘણી વખત ભારે સામાન સાથે ચઢવા-ઉતરવાથી સંતુલન બગડે છે અને ગંભીર દુર્ઘટનાઓ બને છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પોતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને ક્યારેય પણ ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો પ્રયાસ ન કરે. ટ્રેન સંપૂર્ણ રીતે અટક્યા બાદ જ સુરક્ષિત રીતે ચઢો અથવા ઉતરો અને રેલવે કર્મચારીઓના સૂચનોનું પાલન કરો.
















